8 મહાનગરમાં હવે 11થી 6 વાગ્યા સુધી લાગુ રહેશે કર્ફ્યૂ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે. તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
ખુલ્લી જગ્યામાં જાહેર સમારંભમાં હવે 200ને બદલે 400 લોકોને મંજૂરી
બંધ હોલમાં કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 લોકોને મંજૂરી
સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમાની મંજૂરી
કર્ફ્યૂમાં છૂટછાટ પરંતુ તહેવારમાં નહીં, સાવચેતી જરૂરી
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટો લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે. રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનું આયોજન આ વર્ષે પણ રદ કરાયું છે. જેના કારણે લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે. આ સાથે રાજકોટ જિલ્લામાં ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિતના એકપણ લોકમેળાનું આયોજન કરાશે નહીં. રાજકોટના નવનિયુક્ત કલેક્ટર અરૂણ મહેશબાબુ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ છે. ઘણા સમયથી લોકો મેળાના આયોજનની છૂટછાટ માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોરોનાને ધ્યાને લઈ તંત્ર કોઈ જોખમ ખેડવા માગતું નથી.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે કોરોનાના કારણે મોત પણ સરકારી ચોપડે નોંધાયા નથી. આ કારણે સરકાર ધીમે ધીમે લોકોને વેપાર ધંધામાં છૂટછાટ આપી રહી છે. આ સાથે સામાજિક કાર્યક્રમમોમાં લોકોની હાજરીને લઈ પણ છૂટછાટ મળી રહી છે.
RT-PCRના ટેસ્ટની કિંમતમાં ઘટાડો
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં રાજ્યમાં દૈનિક 4 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે. રાજ્યના તમામ વેપારીઓએ વેક્સિન લેવાની રહેશે. જેમાં દુકાન, લારી-ગલ્લા, સલૂન, બ્યુટીપાર્લરના કર્મચારી, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે વેપારી અને કર્મચારીઓ માટે આ રવિવારે વેક્સિનની કામગીરી ચાલુ રહેશે. અગાઉ તેમણે માહિતી આપી હતી કે રાજ્યના 1800 સેન્ટર પર રવિવારે વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે.