ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-2 ચંદ્ર પર ડગ માંડવા માટે સંપૂર્ણ તૈયાર છે. થોડાં કલાકો બાદ ભારતના નામે એક એવી સફળતા સુવર્ણ અક્ષરે નોંધાઈ જશે જે હજુ સુધી દુનિયાનાં ફક્ત 3 દેશોને જ મળી છે. ચંદ્ર પર વિક્રમ લેન્ડરનાં લેન્ડિંગ દરમિયાન ઈસરોનાં સાયન્ટિસ્ટનાં જ નહીં સમગ્ર ભારતના નાગરિકોનાં શ્વાસ થોડી વાર થંભી જશે. પરંતુ તમે કલ્પના કરો કે વિક્રમ અને રોવર બન્ને જો માણસ હોય અને આ રીતે ચંદ્ર પર પહોંચ્યાં હોય તો તે બન્ને પરસ્પર કેવી વાતચીત કરતા હોય. ત્યારે તે જોઇએ આ અહેવાલમાં.
આજની રાત દેશનાં નાગરિકો માટે ખાસ અને ઐતિહાસિક રાત સાબિત થવાની છે. કેમ કે, સતત 48 દિવસનાં વેગવંતી સફર બાદ ચંદ્રયાન-2 ચંદ્ર પર ઉતરાણ કરવાનું છે. યાનનાં બે હિસ્સા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. આપણે થોડી કલ્પના કરીએ કે રોવર અને લેન્ડર બન્ને માણસ છે. જેમાં લેન્ડર વિક્રમ નીલ આર્મ સ્ટ્રોંગ અને રોવર પ્રજ્ઞાન તેમનો મિત્ર બજ એલ્ડ્રીન છે.
આપણે કલ્પનાની પાંખને થોડી વધારે ઊંચાઈએ લઈ જઈને વિચારીએ કે આ યાત્રા દરમિયાન ચંદ્ર પરના એકાંતમાં રોવર પ્રજ્ઞાન અને વિક્રમ લેન્ડર બન્ને વાત કરી રહ્યાં હોય તો તે વાત કેવી હોઈ શકે. લેન્ડર વિક્રમનાં મનમાં તમારી જેમ મિશનને બાબતે કેટલાંક સવાલ ઉભા થયાં હોય તો તેનો સાથી રોવર પ્રજ્ઞાન તેનાં કેવાં જવાબ આપે તે જોઈએ અહીં.
વિક્રમઃ દોસ્ત પ્રજ્ઞાન આપણે ચંદ્ર પર એવા આવ્યાં છીએ જ્યાં પહેલાં કોઈ દેશ આવ્યો નથી. આ આખી સફરનો કેટલો ખર્ચ થયો હશે?
પ્રજ્ઞાનઃ મિત્ર, ઇસરોએ તેનાં પર 978 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. આ મિશન કેટલું સસ્તું છે તેનો અંદાજ એના પરથી જ લગાવો કે હોલિવૂડની એક ફિલ્મ છે ઇન્ટરેસ્ટ સેલર તેને બનાવવા માટે આ મિશન કરતા પણ વધારે ખર્ચ થયો છે.
વિક્રમઃ અરે તું તો ઘણું બધું જાણે છે. ચાલ ચંદ્ર વિશે કંઈક જણાવ.
પ્રજ્ઞાનઃ ચંદ્રનું વાતાવરણ પૃથ્વી જેવું નથી, ગુરુત્વાકર્ષણ પણ પૃથ્વી જેવું નથી. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે, તે તમે ત્યાંનાં ધૂળનાં તોફાનથી જાણી શકશો. તે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. વૈજ્ઞાનિકો એવું કહી રહ્યાં છે કે, એક દિવસ મનુષ્ય ચંદ્ર પર વસવાટ કરશે.
વિક્રમઃ આપણે ચંદ્ર પર કેમ જઈ રહ્યાં છીએ?
પ્રજ્ઞાન: આપણે ચંદ્રની ઉત્પત્તિ અને તેના પરિવર્તન વિશે વધુ જાણવા માટે નીકળ્યાં છીએ. અહીં આપણાં રોકાણ દરમિયાન, આપણે અહીં તત્વ, તાપમાન, વાતાવરણ અને અહીંના રસાયણ વિશે અભ્યાસ કરીશું. આ કાર્યમાં આપણે આપણો મિત્ર ઓર્બિટર પણ મદદ કરશે.
ચંદ્રયાનઃ આજની રાતની 15 મિનિટ સૌથી મુશ્કેલ, શ્વાસ થંભી જશે.
વિક્રમઃ ઓર્બિટર...? તે કોણ છે?
પ્રજ્ઞાન: ઓર્બિટર પણ આપણી સાથે આ મિશન પર છે. તે એ ભૂમિકામાં છે જે એપોલો 11 મિશનમાં માઇકલે નિભાવી હતી. આપણે તેની સાથે જ અહીં આવ્યાં છીએ. આપણે અહીં ચંદ્ર પર ઉતરીને અભ્યાસ કરીશું અને ઓર્બિટર ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરશે. તે ચંદ્ર પર ઉતરશે નહીં.
વિક્રમઃ સારું! તો ઓર્બિટર કરશે શું?
પ્રજ્ઞાન: તે ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરશે. આપણે પણ મળતી માહિતી તેને મોકલીશું. તે અહીં હાઇડ્રોક્સિલ એટલે કે, ઓક્સિજન અને હાઇડ્રોજન અને પાણીનાં અણુઓની તપાસ કરશે.
વિક્રમઃ અરે મે સાંભળ્યું છે કે હું ચંદ્ર પર એક જ જગ્યાએ રહીશ, એટલે કે હું ખસી પણ નહીં શકું?
પ્રજ્ઞાન: હાં, ઓર્બિટરનું કામ ભ્રમણકક્ષામાં ચંદ્રનું પરિભ્રમણ કરવાનું છે. તું એક જ જગ્યાએ રોકાશે, હું ચંદ્રની સપાટી પર ફરીશ. હું ચાલતી વખતે જે પણ જોઈશ તે બધી બાબતોને રેકોર્ડ કરીશ, મે રેકોર્ડ કરેલા તમામ સંદેશા સીધા પૃથ્વી પર મોકલવાનાં બદલે તને મોકલીશ. તારું મુખ્ય કામ વૈજ્ઞાનિકો ઓર્બિટર અને મારી વચ્ચેનાં સંદેશાઓ લાવવા લઈ જવાનું હશે અને એમ પણ દોસ્ત હું તારાથી વધારે દૂર નહીં જાઉં મારી રેન્જ માત્ર અડધો કિલોમીટરની જ છે અને સ્પીડ પણ માત્ર પ્રતિ સેકન્ડ એક સેન્ટીમીટરની છે.
વિક્રમઃ ખૂબ મહેનતનું કામ છે દોસ્ત. આપણે કામ પતાવીને પૃથ્વી પર ક્યારે પરત ફરીશું? પ્રજ્ઞાનઃ આપણે ક્યારેય પરત નહીં ફરીએ દોસ્ત. આ જ આપણી અંતિમ મંજિલ છે. એક દિવસ જ્યારે પૃથ્વી પરથી કોઈ અહીં આવશે. તો બની શકે કે આપણને જુએ.
ખૂબ જ જિજ્ઞાસા પ્રેરક અને રોચક વાત થઈ બન્ને વચ્ચે હવે...જો કે આ વિક્રમ અને પ્રજ્ઞાન બન્ને મિત્રો હવે ક્યારેય પૃથ્વી પર પરત ફરશે નહીં. પરંતુ ચંદ્ર પર મનુષ્યના આગમનની તૈયારી માટે તેઓ અંતિમ શ્વાસ સુધી કામ કરશે...અને મનુષ્ય જાતિ માટે તે ચંદ્ર પર પૂર્વજ તરીકે યાદ રહેશ તેમાં વાતમાં કોઈ શંકા નથી.