આદિત્ય ઠાકરે સોમવારે શિવસેનાના કાર્યક્રમમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી. એમણે ચૂંટણી જીતવા માટે શિવસેનાના કાર્યકર્તાઓનો આશીર્વાદ માંગ્યો. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ગુંચ ઉકેલાઇ ગઇ છે. સૂત્રોનું માનીએ તો, શિવસેના 126 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે બીજેપીએ 144 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જ્યારે સહયોગી પાર્ટીઓને 18 બેઠકો આપવાનું નક્કી કરાયું છે.
ત્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવાની તુલના ચંદ્રયાન-2 (Chandrayaan 2) સાથે કરી. ન્યૂઝ એજન્સી ANIએ સંજય રાઉતના હવાલાથી કહ્યું, 'ચંદ્રયાન-2 કેટલીક ટેક્નિકલ ખામીને કારણે ભલે ચંદ્ર પર લેન્ડ કરવામાં સફળ રહ્યું નહીં, પરંતુ અમને પૂર્ણ વિશ્વાસ છે કે આદિત્ય ઠાકરે 21 ઓક્ટોબરે મંત્રાલય (મુખ્યમંત્રી કાર્યાલય)ના છઠ્ઠા માળે પહોચંવામાં સફળ રહેશે.'
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ એલાન કરાયું હતું. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન થશે જ્યારે 24 ઓક્ટોબરે મતગણતરી થશે.