પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના અમુક નેતાઓએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહની સામે બળવો પોકાર્યો છે.
પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ
કોંગ્રેસના જ નેતાઓએ અમરિન્દર સિંહની સામે બળવો પોકાર્યો
પંજાબમાં સીએમ નહીં બદલાય: હરીશ રાવત
રાજ્યમાં મુખ્યમંત્રી પદે કોઈ ફેરફાર નહીં થાય
પંજાબ કોંગ્રેસના સાત નેતાઓએ પ્રદેશ પ્રભારી હરીશ રાવતને દહેરાદૂન મળીને કેપ્ટનની ફરિયાદ કરી હતી. પરંતુ રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાજ્યમાં મુખ્યમંત્રી પદે કોઈ ફેરફાર થશે નહીં. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી અમરિન્દર સિંહના નેતૃત્વમાં લડવામાં આવશે. બીજી તરફ કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની પરનીત કૌરે નવજોત સિંહ સિદ્ધુની સામે બળવો પોકારી કહ્યું હતું કે, પંજાબમાં સીએમ બદલવામાં આવશે નહીં. પંજાબમાં અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તેના માટે સિદ્ધૂ જવાબદાર છે.
કેપ્ટન અમરિન્દર સિંહની પત્ની અને લોકસભા સાંસદ પરનીત કૌરે પંજાબમાં ચાલતા રાજકીય ઘમાસાણને લઈને પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લાં સાડા ચાર વર્ષથી પંજાબ કોંગ્રેસમાં બધુ યોગ્ય ચાલતુ હતું. પરંતુ છેલ્લાં બે મહિનાથી એવુ શું થયુ કે કેપ્ટન અમરિન્દર સિંહને લઈ સવાલ ઉભા થવા લાગ્યાં. પરનીત કૌરે કહ્યું કે, અત્યારે જે કંઈ કોંગ્રેસમાં થઈ રહ્યું છે તેની પાછળ સિદ્ધૂ જવાબદાર છે. સિદ્ધૂ પોતાના એડવાઈઝરો પર અંકુશ રાખી રહ્યાં નથી. તેમણે કહ્યું કે, કોઈના કહેવાથી પંજાબમાં મુખ્યમંત્રીમાં ફેરફાર કરાશે નહીં. સીએમ કોને બનાવવા તે કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે.
સિદ્ધૂ અને અમરિન્દર સિંહ વચ્ચે મતભેદ નથી
ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધૂ અને કેપ્ટન અમરિન્દર સિંહની વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને રાવતે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમરિન્દર સિંહે જાતે કોંગ્રેસ પ્રમુખ નવજોત સિદ્ધૂનું સ્વાગત કર્યુ હતું અને હાઈકમાન્ડના નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. હું આ મામલાને ઉકેલવાની કોશિશ કરીશ.