પુલવામા હુમલાને લઈને દેશના દરેક નાગરિકમાં રોષ છે. તો બીજી તરફ શહીદોના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો કાર્યરત છે. ત્યારે વડોદરામાં એક ચાની લારીવાળાએ શહીદોને આર્થિક મદદ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. રમેશ પરમાર નામના આ વ્યક્તિએ પોતાની ચાની લારીથી થતો એક દિવસનો વકરો શહીદોના પરિવારને અર્પણ કરવાનું નક્કી કર્યું છે. રમેશ ભાઈનું કહેવુ છે કે એક દિવસમાં જેટલી આવક થશે તે તેઓ કલેક્ટર કચેરીએ જમા કરાવી દેશે. રમેશભાઈના આ પ્રયાસને ગ્રાહકો પણ આવકારી રહ્યા છે. સાથે જ સરકાર પાકિસ્તાન અને આતંકીઓ વિરૂદ્ધ કડકમાં કડક પગલાં લે તેવી માગણી કરી રહ્યા છે.
સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો વડોદરાના નિઝામપુરામાં રાહુલ ટી સ્ટોલથી રમેશ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. પુલવામામાં આતંકી હુમલમાં શહીદ થયેલા જવાનોના પરિવારની દેશમાં લોકો સંસ્થાઓ અને ઉધોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે તેવી રમેશભાઈને ખબર પડતા તેઓએ પણ શહીદ થયેલા પરિવારના સભ્યોની મદદ કરવા વિચાર કર્યો. રમેશભાઈએ તેમના એક દિવસનો વકરો શહીદ થયેલા જવાનોના પરિવારને આપવાનું નકકી કર્યું. જેના માટે તેમને ચાની લારી પર એક દિવસનો વકરો કલેકટર કચેરીમાં જમા કરાવી શહીદોના પરિવારને આપવામાં આવશે તેવા પોસ્ટરો લગાવ્યા.
રમેશભાઈની ચાની લારી પર ચા પીવા આવતા લોકો પ્રશંસા કરી રહ્યા છે. ચા પીવા આવતા લોકો સરકાર પાસે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સાથે આવી જ રીતે સમગ્ર દેશના લોકોએ સેનાના જવાનો સાથે એકજુઠ મળી સેનાનો જુસ્સો વધારવો જોઈએ તેમ કહી રહ્યા છે.
એક નાનો ધંધો કરતો વ્યક્તિ કે પરિવાર પણ આજે દેશદાઝના કારણે રાષ્ટ્ર ભક્તિમાં જોડાયો છે અને આતંકવાદના કારણે ભારત નવયુવાનો સૈનિકોને ગુમાવી રહ્યુ છે ત્યારે આજે દેશવાસીઓની દેશદાજ બહાર આવી રહી છે નાનામાં નાનો વ્યકતિ પણ દેશ માટે પોતાનુ યોગદાન આપવા લોકોને પ્રેરણા આપી રહ્યા છે.