ભારત-ચીન બોર્ડર પર અવારનવાર તણાવ અને છમકલાં જોવા મળતા હોય છે ત્યારે એક નવી મુસીબતે સુરક્ષા એજન્સીઓની પરેશાની વધારી દીધી છે. બોર્ડર ઉપર સંપર્ક સૌથી મોટું હથિયાર સાબિત થાય છે, પણ છેલ્લા બે મહિનાથી આ વિસ્તારો સાવ સંપર્કવિહોણા બન્યા છે.
ભારત-ચીન બોર્ડર પર તહેનાત સેના, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ની ચોકીઓ ઉપરાંત નીતિ ઘાટીની 11 ગ્રામ પંચાયતોનો સંચાર સંપર્ક (ટેલિકમ્યુનિકેશન) દેશના અન્ય ભાગો સાથે છેલ્લા બે મહિનાથી કપાઈ ગયો છે. શ્રીનગર (ગઢવાલ) જિલ્લાના ટેલિકમ્યુનિકેશન જનરલ મેનેજર વિજયપાલના જણાવ્યા અનુસાર, જિયોસિન્ક્રોનસ અર્થ ઓર્બિટ (ભૂસમકાલિક કક્ષા)માં સ્થાપિત સેટેલાઈટથી સિગ્નલ મળવાના બંધ થઈ જવાના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ કારણે ભારત-ચીન બોર્ડર પર સેટેલાઈટ ફોન પણ ઠપ થઈ ગયા છે.
ચમોલી જિલ્લાની સરહદે આવેલી નીતિ ઘાટીની ગમશાલી, નીતિ, બામ્પા, મેહરગાંવ, કૈલાશપુર, મલારી, ફરકિયા, કોષા, ઝેલમ, દ્રોણાગીરિ અને કાગારગપક ગ્રામ પંચાયત ઉપરાંત સેના, આઈટીબીપી અને બીઆરઓની મલારી, રિમખિમ, સમુન્ના, લપથલ, ગમશાલી, શિપુક, નીતિ, બમલાસ વગેરે બોર્ડર ચોકીઓ ડિજિટલ સેટેલાઈટ ફોન ટર્મિનલ (ડીએસપીટી) દ્વારા દેશના અન્ય વિસ્તારો સાથે જોડાયેલી છે.
અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા બે મહિનાથી સેટેલાઈટ ફોન ઠપ થઈ જવાના કારણે સમગ્ર નીતિ ઘાટી, જિલ્લા હેડક્વાર્ટર ગોપેશ્વર સહિતના વિસ્તારોનો સંપર્ક સાવ કપાઈ ગયો છે. ઘાટીના 6000થી વધુ લોકો સંપર્કવિહોણા બની ગયા છે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જાણ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
સેનાના સૂત્રો જણાવે છે કે, ઈસરો બહુ જલ્દી નવો સેટેલાઈટ સ્થાપિત કરશે. હજુ આ કામગીરામાં એકથી દોઢ મહિનો લાગી શકે તેમ છે. ત્યારબાદ જ સમગ્ર નીતિ ઘાટી અને તેની આસપાસના વિસ્તારોમાં તથા બોર્ડર ચોકીઓમાં સંચાર સેવા ફરી શરૂ થશે.