વિડંબના તો જુઓ.... એક બાજુ બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર વયોવૃદ્ધ પેન્શન યોજના હેઠળ કરોડોની લહાણી કરી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ રાજ્યનાં માસૂમ બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યાં હતાં. બિહારના મુઝફફરનગર જિલ્લામાં એક્યુટ ઈન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ)થી અત્યાર સુધીમાં ૧પ૦ કરતાં વધુ બાળકોનો ભોગ લેવાયો છે. માત્ર ૧૭ દિવસની અંદર જ આ બીમારી એક જ જિલ્લામાં ઝડપથી ફેલાઇ હતી અને હવે તો અન્ય જિલ્લાઓ પણ તેની ઝપેટમાં આવી ગયા છે.
આ એક અસાધ્ય બીમારી છે એવું નથી. મોટી સંખ્યામાં બાળકો હોસ્પિટલમાંથી સાજા થઇને ઘરે પણ ગયાં છે, પરંતુ આ વાઇરસ એટલી ઝડપે ફેલાય છે કે ઘણી વાર સારવાર માટે કોઇ અવકાશ રહેતો નથી. અસાધરણ ગરમીને લીધે લૂ અને ચમકી નામના આ મગજના તાવને લીધેે બાળકો વધુને વધુ ભોગ બની રહ્યાં છે જે એક ગંભીર વાત છે.
શરૂઆતમાં બિહારના સત્તાવાળાઓએ પણ આ મામલાને ગંભીરતાથી લીધો નહોતો અને સમગ્ર મામલો બેકાબૂ બની ગયો ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન નીતીશકુમાર એકાએક કુંભકર્ણની નિદ્રામાંથી સફાળા જાગ્યા હતા અને હોસ્પિટલની મુલાકાત લેવા દોડી ગયા હતા કે જ્યાં તેમને લોકોના રોષ અને આક્રોશનો સામનો કરવો પડયો હતો અને નીતીશકુમાર ગો બેક એવાં સૂત્રોનો સામનો કરવો પડયો હતો.
એઈએસ એટલે કે ચમકી તાવ ફક્ત ભારતમાં બાળકોના જીવનો દુશ્મન નથી બન્યો પણ દક્ષિણ-પશ્ચિમ એશિયા અને પશ્ચિમી પ્રશાંતના ૨૪ દેશ તેનાથી પરેશાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ અનુસાર, આ ૨૪ દેશોના અંદાજે ૩૦૦ કરોડ લોકો પર રહસ્યમય ચમકી તાવના ચેપનો ખતરો સતત રહે છે. ભારતમાં ૨૦૧૧થી અત્યાર સુધીમાં એટલે કે આઠ વર્ષમાં એઈએસ અને જાપાનીઝ ઈન્સેફ્લાઈટીસ (જેઈ) એટલે કે ચમકી તાવથી ૧૧,૦૦૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયાં છે. તેમાંથી ૯૯ ટકા પીડિત ૧૫ વર્ષથી નાની ઉંમરનાં હતાં.
એક એક દાયકાથી કોઈ રોગ ત્રાટકીને ભૂલકાંને ભરખી જાય છતાં કોઈ ઉપાય કે ઈલાજ ન મળે?! એક દાયકામાં દસ વરસથી નાનાં એક હજાર માસૂમનાં મોત બદલ ઝેરિલી લીચીનો વાંક કઢાય છે, પરંતુ જો લીચી જ જીવલેણ હોય તો શહેરી વિસ્તારમાં કેમ એની અસર થતી નથી?
સરકાર પાસે જાગૃતિ જગાવવાનો સમય નથી કે ઈચ્છાશક્તિ નથી. આ રોગનો સૌથી સરળ ઈલાજ છે સમયસર ગ્લુકોઝના ડૉઝ ચડાવવાનો. સાથોસાથ વધુ ને વધુ પ્રવાહી આપવાની સલાહ અપાય અને એન્ટિ-વાયરસ દવા. બધુ સ્પષ્ટ છે, સરળ છે અને જરાય મુશ્કેલ નથી. સાથોસાથ આ રોગચાળો સિઝનલ છે છતાં સરકાર અને અમલદારો કુંભકર્ણ નિદ્રામાં નસકોરાં બોલાવવાની હરીફાઈમાં ગળાડૂબ રહે એના પર વરસાવીએ એટલો ફિટકાર ઓછો.
મુઝફ્ફરપુરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૪ બાળકોનાં મોત થવાથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ છે. એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં ૩૯ નવા કેસ નોંધાયા છે અને હાલ આ બાળકો સારવાર હેઠળ છે. ૧૮ દિવસમાં એઈએસના ૪૩૦થી વધુ કેસ સામે આવતાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
બિહાર સરકાર તરફથી હજુ સુધી જોકે ફક્ત ૯૦ બાળકોનાં મોતની જ પુષ્ટિ કરવામાં આવી છે, પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સાચા આંકડા જાહેર કરતું નથી. એક વાત સમજવાની જરૂર છે કે ચમકી તાવ એ માત્ર રોગ કે ગરમીનો મામલો નથી, પરંતુ લોકોની આર્થિક સ્થિતિનો પણ મામલો છે.
આ વાઇરસનું સૌથી મોટું કારણ ગરીબી છે. ગરીબ બાળકોને પોષણક્ષમ આહાર મળતો નથી અને આવા કુપોષિત બાળકો આ પ્રકારના વાઇરસ સામે જલદી ભોગ બની જાય છે અને તેથી સરકારે તેના મૂળમાં જઇને આર્થિક-સામાજિક સર્વે કરાવીને કુપોષણ દૂર કરવાનો સઘન કાર્યક્રમ હાથ ધરવો જોઇએ.