ભારત દેશ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે, હાલમાં જ કોરોના વાયરસની બીજી લહેરે ભારતને જોરદાર ઝટકો આપ્યો છે જેમાં ત્રાહિમામ જેવી પરિસ્થિતિમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે લાખો સંક્રમિત લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં બીજી તરફ કોરોના વાયરસની રસી આપવાનું પણ કામ થઈ રહ્યું છે ત્યારે આજે પીએમ મોદીએ CSIRમાં કરવામાં આવેલ સંબોધનમાં કોરોના વાયરસ કાળમાં વૈજ્ઞાનિકોએ કરેલા કામ બદલ તેમનો આભાર માન્યો હતો.
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોના કર્યા વખાણ
CSIRના એક કાર્યક્રમમાં આજે પીએમ મોદીએ વૈજ્ઞાનિકોના વખાણ કર્યા અને કહ્યું કે આપણે ટેકનિક માટે પહેલા વર્ષો સુધી રાહ જોવી પડતી હતી પણ હવે સમય બદલાયો છે. દુનિયામાં કોઈ ટેકનિક આવે તે બાદ ભારતે વર્ષો સુધી તેની રાહ જોવાનો વારો આવતો હતો પરંતુ આજે આપણાં વૈજ્ઞાનિકો વિશ્વથી ખભાથી ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. આજે ભારતમાં વૈજ્ઞાનિકોએ માત્ર એક જ વર્ષમાં વેક્સિનની શોધ કરી નાંખી છે. કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે જુદી જુદી દવાઓની શોધ કરવામાં આવી છે.
ક્લાઇમેટ ચેન્જ બની શકે છે મોટી સમસ્યા : પીએમ મોદી
નોંધનીય છે કે CSIRમાં પીએમ મોદીના સંબોધનમાં તેમણે ભવિષ્યને લઈને જે નિવેદન આપ્યું તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ ભવિષ્યના જીસાબે પ્લાનિંગ કરવાની જરૂર છે તેવું ભારપૂર્વક કહ્યું. તેમણે કહ્યું કે કોરોના વાયરસ મહામારી આજે આપણી સામે છે આવા જ પડકારો ભવિષ્યના ગર્ભમાં હોઈ શકે છે. ઉદાહરણ સ્વરૂપે ક્લાઇમેટ ચેન્જને લઈને નિષ્ણાતો સતત આશંકાઓ જાહેર કરી રહ્યા છે. એવામાં આપણે ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજીથી લઈને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવા સુધીના ઉપાયો કરવા પડશે.
આપણે પહેલાથી પ્લાનિંગ કરીને રાખવી પડશે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણે સોફ્ટવેરથી લઈને સેટેલાઈટ સુધી બીજા દેશોના વિકાસને પણ ગતિ આપી રહ્યા છે. આપણે દુનિયાના વિકાસના એન્જિનના રોલમાં છે તેથી આપણાં લક્ષ્ય વર્તમાનથી બે પગલાં આગળ જ હોવા જોઈએ. આપણે આવનાર દશકો માટે તૈયાર રહેવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે મારી સલાહ છે કે તમારા દ્વારા કરવામાં આવેલ શોધ લોકો માટે સુલભ હોવા જરૂરી છે.
પીએમ મોદીએ CSIRના લોકોને સલાહ આપતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તમારા રિસર્ચ વિશે જાણી શકે અને જૉ ઈચ્છા ધરાવે તો તમારી સાથે જોડાઈ પણ શકે તે માટે તમારે ભાર આપવો પડશે. આવું કરવાથી તમારા કામ અને પ્રોડક્ટ્સને પણ મદદ મળશે.