લોકસભા ચૂંટણી આડે છે ત્યારે ગુજરાત સહિત દેશભરના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. પીએમ મોદી અને રાહુલ ગાંધી પણ હવે મેદાને આવી ગયા છે ત્યારે આ ચૂંટણીમાં જીત બંને પક્ષો માટે ઇજ્જતનો સવાલ બની ગયો છે. ચૂંટણી માહોલ ઊભો થયો છે ત્યારે ખાસ કરીને VTVએ પોતાના વિશેષ કાર્યક્રમ 'ચક્રવ્યૂહ'માં ગુજરાતના દિગ્ગજ નેતાઓને કેટલાંક તીખાં સવાલો પૂછીને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો છે.
આજના અમારા આ ઍપિસોડમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરવામાં આવી હતી. શંકર ચૌધરીને આગામી લોકસભા ચૂંટણી મુદ્દે પૂછવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો ફરી એક વખત જીતશે. ભાજપે ખેડૂતો માટે સારું કામ કર્યુ છે અને તેમને પહેલાંની જેમ તકલીફો નથી પડી રહી. ભાજપે 0 ટકા વ્યાજે લોન લાઈટના ડીપી મગફળી અને કપાસ તેમજ કઠોળના પૂરતા ભાવ જેવી સુવિધાઓ આપી છે.
આ ઉપરાંત શંકર ચૌધરીને અલ્પેશ ઠાકોર સાથેની મુલાકાત વિશે પણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ અમારી એક મીઠી મુલાકાત હતી. અમે રસ્તા પરથી જઈ રહ્યાં હતાં અને અમે મળ્યાં હતાં. આ એક ઔપચારિક મુલાકાત હતી. બીજી બાજુ તેમને ભાજપના લીલાધર વાઘેલા અને હરિભાઈ ચૌધરી વચ્ચે વિખવાદ છે તેના વિશે પૂછતાં તેમણે આ વાતને રદિયો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેમાં ભાજપનો હાથ છે કે નહીં તે વિશે શંકર ચૌધરીને પૂછતાં તેમણે જવાબ આપ્યો હતો કે આશાબેનની વિકેટ અમે નથી પાડી. તેમના વિશે મને કંઈ ખબર જ નથી. પરંતુ હા કોંગ્રેસના આંતરિક વિખવાદનો ફાયદો થઈ રહ્યો છે.
શંકર ચૌધરીએ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો 400થી વધારે બેઠકો પર ભવ્ય જીત થશે અને ફરી એક વખત દેશમાં ભાજપ સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.