મા દુર્ગાની ઉપાસના કરવાનો પવિત્ર અવસર એટલે નવરાત્રિ. આ દિવસોમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે.નવરાત્રિએ ઉર્જાનું પ્રતિક છે, સકારાત્મક ઉર્જાનો સંચાર છે. ત્યારે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. બોલમારી અંબે જય જય અંબેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા છે. આ તરફ ગિરનારમાં પણ ભક્તો માતાજીના દર્શને વહેલી સવારથી જ આવી પહોચ્યા હતા. આ તરફ પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા તો આ તરફ ચોટીલામાં ચામુંડા માતા અને બહુચરાજીમાં માતાના દર્શને અનેકે ભક્તોએ માતાજી આગળ શિષ ઝુકાવીને ધન્યતા અનુભવી ,.
બોલમાડી અંબે જય જય અંબે
તો શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે અંબાજી મંદિરમાં નવે નવ દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ પાવન અવસરે ભક્તોને અગવડતા ન પડે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે અંબાજીમાં નવરાત્રિને લઇને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન સવારની આરતી 7 કલાકે જ્યારે સાંજે પણ સાત કલાકે કરવામાં આવશે.. ચૈત્ર સુદ આઠમ તારીખ 08 એપ્રિલ સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમ તારીખ 16 એપ્રિલે સવારે આરતી 6.00 કલાકે થશે.
નગરદેવીના દર્શન કરી અનુભવી ધન્યતા
અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે પણ નવરાત્રિ પર્વને લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પહેલા નોરતે મા શૈલીપુત્રીના અવતારમાં ભદ્રકાળી માતાનો શણગાર કરવામાં આવ્યો હતો. વિધિ વત રીતે ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતું. આ નવરાત્રિનો એક વિશેષ મહિમા છે. આ નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવા ભક્તો પણ યથાશક્તિ ભક્તિ કરીને માને રીઝવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભદ્રકાળી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી.
ચૈત્રી નવરાત્રિનું મહત્વ
શક્તિના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચૈત્ર માસમાં આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે.