શ્રી ચૈતન્ય મહાપ્રભનો જન્મ હાલના પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશના નાદિયા ગામમાં સંવત ૧૪૦૭, ફાગણ સુદ પૂનમના દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત-સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પ. બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓડિશાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે, પરંતુ ગૌડિય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ રાધારાણીના ભાવ અને રૂપમાં માને છે. તેમની માતાનું નામ શચીદેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું.
કહેવાય છે કે જીવનનાં છેલ્લાં છ વર્ષ મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં હતાં. રાધાજી જેમ શ્રીકૃષ્ણના વિરહમાં રાત-દિવસ રડતાં હતાં તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા. ક્યારેક નાચવા લાગતા, ક્યારેક દોડવા લાગતા. ક્યારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતાં.
શ્રીમહાપ્રભુજીને કૃષ્ણ વિરહમાં રડતાં જોઈને મોટા-મોટા પંડિતો પણ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા. કેટલાય દુરાચારીઓ પણ શ્રીમહાપ્રભુજીના સંગમાં આવીને કૃષ્ણભક્ત બની ગયા. શ્રીમહાપ્રભુજી વેદાંતના પ્રખર પંડિત હતા. શ્રીમહાપ્રભુ ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. તેમની પહેલી પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું, જેના મૃત્યુ પછી શ્રીમહાપ્રભુજીએ વિષ્ણુપ્રિયા સાથે લગ્ન કર્યાં.
ભારતના સંન્યાસીઓને શ્રીકૃષ્ણની ભક્તિમાં તથા પરમ વૈરાગ્યના માર્ગે વાળવા માટે ચોવીસ વર્ષની ઉંંમરે કેશવ ભારતીજી પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણકરી સંસારનો ત્યાગ કર્યો. અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ કેટલાય ભક્તોને ચતુર્ભુજરૂપે, દ્વિજરૂપે ષડ્ભુજરૂપે શ્રીકૃષ્ણ રૂપનાં દર્શન કરાવ્યાં. તેમણે અનેક ચમત્કાર કર્યા હતા. કેટલાક રોગી, કોઢીઓને રોગમુક્ત કર્યા હતા. દક્ષિણમાં એક તળાવની પાળને ‘મધ’ બનાવ્યું હતું.
આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કારણી’ નામે દક્ષિણમાં પ્રખ્યાત છે. કેટલીક ખત જગન્નાથપુરીની ગલીઓમાં શ્રીકૃષ્ણ નામનો નાદ કરતાં ગલીએ ગલીએ ફરતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ જ છે. તેમણે લખેલું કૃષ્ણભક્તિનું અષ્ટક (શિક્ષાષ્ટક) તેમના હૃદયના શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. તેમણે ૨૪ વર્ષની ભરયુવાનીમાં સંન્યાસ લીધો. વિધવા માતા તથા અપ્સરા જેવી સુંદર પત્નીનો ત્યાગ કરી પ્રભુ વિશ્વંભરે શ્રીકૃષ્ણ ચૈતન્ય એવું સંન્યાસ નામ ગ્રહણ કર્યો અને ભારતમાં ગામેગામ ફરી બધાને હરિનામ સંકીર્તનમાં જોડ્યા.
તેમણે ઇચ્છા અનુસાર સંન્યાસ લઈ વૃંદાવન મથુરામાં સ્થિર થવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ માતા વૃદ્ધ હતાં તથા તેમની ઇચ્છાને માન આપીને જગન્નાથ પુરીમાં મુખ્ય મથક રાખ્યું. પુરીમાં રથયાત્રા દરમિયાન ચૈતન્ય મહાપ્રભુજી રથની આગળ પ્રચંડ નૃત્ય કરીને જગન્નાથજીને ખૂબ આનંદ આપતા. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના ભક્તરૂપે અવતરી પોતાની જ ભક્તિ શી રીતે કરવી એ દુનિયાને શીખવવા માટે અવતર્યા તે જ છે. ચૈતન્ય મહાપ્રભુ, શ્રીમાન રાધારાણી ભક્તિનું મૂર્તિવાન સ્વરૂપ છે તથા પ્રભુની આનંદ શક્તિ છે. તેમના અવતારનું વર્ણન શ્રીમદ્ ભાગવતના ૧૧મા સ્કંધમાં રાજા નિતિને કરભાજન મુનિ સંભળાવે છે.•