અમદાવાદમાં પેટ્રોલ પંપના માલિકો જ પેટ્રોલમાં ચોરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ચેરમેન જશવંતસિહં વાઘેલાએ અમદાવાદના ઘણા પેટ્રોલ પંપ પર એક લીટરે ચાર મિલી ઓછું પેટ્રોલ અપાતું હોવાની ફરિયાદ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.
પેટ્રોલ પંપના માલિકો જ પેટ્રોલમાં ચોરી કરતા હોવાની ફરિયાદ
તોલમાપ વિભાગ અને પંપ માલિકો વચ્ચે સાંઠગાંઠનો આક્ષેપ
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ચેરમેને ફરિયાદમાં કહ્યું છે કે ગ્રાહકોને પાંચ લીટરે 20 મીલી ઓછું પેટ્રોલ મળે છે. દસ હજાર લીટર પેટ્રોલ વેચનાર પંપ માલિકને 40 હજાર મિલી એટલે કે, 40 લીટર પેટ્રોલનો ફાયદો થાય છે. રોજના 40 લીટરના 75 રૂપિયા પ્રમાણે રૂ. 3000 અને મહિને રૂ.90 હજારનો પંપ માલિકોને ફાયદો થાય છે.
ગ્રાહક સુરક્ષાના ચેરમેને ફરિયાદ કરતા કહ્યું કે અમદાવાદના નિયંત્રકની લાપરવાહીના કારણે પેટ્રોલ પંપ પર ચેકિંગ માટેના ચેક મેજર્સ તોપલમાપ કચેરીમાં ધૂળ ખાય છે. અમદાવાદના ઘણા પેટ્રોલ પંપોમાં 10 મિલીથી લઇ 25 મીલી ઓછું પેટ્રોલ-ડિઝલ ડિલિવરી કરાય છે. તોલમાપ કચેરીના ઇન્સ્પેકટરો અને પેટ્રોલપંપના માલિકો વચ્ચે સાંઠગાંઠ હોવાથી ગ્રાહકોની ફરિયાદો પર પારદર્શક તપાસ નહીં હોવાનો પણ ચેરમેને આક્ષેપ કર્યો છે.
ત્યારે તોલમાપ વિભાગના રાજ્યના કંટ્રોલર ડી.એલ.પરમારે કહ્યું કે, પેટ્રોલપંપ પર કંઇ રીતે ઓછું પેટ્રોલ અપાય છે તેનો જવાબ ફરિયાદી જ આપી શકે. વિભાગ દ્વારા તપાસ થાય છે. ગેરરિતીના આક્ષેપ ખોટા છે. તો આ સમગ્ર મામલે અમદાવાદ તોલમાપ કચેરીના ઇન્ચાર્જ નિયંત્રક જી.ડી પરમારે આ અંગે કહ્યું કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ઇન્સ્પેક્ટરો દ્વારા પેટ્રોલપંપ પર પ્રતિવર્ષ ચકાસણી કરવામાં આવે છે. ચેક મેજર્સનો ઉપયોગ થાય છે.