વિવાદોમાં ઘેરાયેલ ઇન્ફોસિસને લઇને ચેરમેન નંદન નીલેકણીના ભગવાન પણ ઇન્ફોસિસના નાણાકીય આંકડા બદલી શકે નહીં એવા નિવેદન પર જ્યારે સેબી પ્રમુખ અજય ત્યાગીનો મત માગવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને જો કોઇને કંઇ પૂછવું હોય તો તેઓ કાં તો નંદન નીલેકણીને પૂછે અથવા ભગવાન પાસે જઇને પૂછે.
અજય ત્યાગીએ જણાવ્યું હતું કે રોકાણકારો ઇચ્છે તો ઇન્ફોસિસના નિવેદન પર રાહતનો શ્વાસ લઇ શકે છે, પરંતુ અમારી તપાસ ચાલુ રહેશે એટલું જ હું કહી શકું.
અજય ત્યાગી સીઆઇઆઇ દ્વારા મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઇન્ફોસિસ પ્રકરણમાં સેબી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ ચાલુ રહેશે ત્યાં સુધી હું કંઇ કહી શકું નહીં.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઇન્ફોસિસ સામેના આરોપોની તપાસ અમેરિકન રેગ્યુલેટર એસઇસીને સોંપાઇ છે ત્યારે તેમણે જણાવ્યું કે આ કંપની અમેરિકામાં લિસ્ટેડ છે અને આ બે રેગ્યુલેટર વચ્ચેની કોન્ફિડેન્શિયલ બાબત છે.