ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની Z પ્લસ સુરક્ષા પરત ખેંચવાનું કેન્દ્ર સરકારે મન બનાવી લીધુ છું. આમ નજીકના ભવિષ્યમાં બ્લેક કેટ કમાન્ડો હવે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવની સુરક્ષામાં જોવા મળશે નહીં.
સૂત્રોને મળતી જાણકારી મુજબ આ અંગેના આદેશને મંજૂરી આપી દેવામાં આવી છે અને એનએસજીને આ અંગેની જાણ કરવામાં આવશે. જો કે મૂલાયમસિંહ યાદવ અને માયાવતીની સુરક્ષામાં એનએસજી કમાન્ડો તૈનાત રહેશે.
લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનની હાર બાદથી ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવની સુરક્ષામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન તૂટી ગયું હતું.
આ અગાઉ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષામાં ઘટાડો જોવા મળ્યો હતો. ચંદ્રાબાબુ નાયડૂના દિકરા નારા લોકેશની સુરક્ષા પણ ઘટાડી દેવામાં આવી હતી. આ અગાઉ તેમની પાસે ઝેડ શ્રેણીની સુરક્ષા હતી પરંતુ હવે વાય કરી દેવામાં આવી છે.
આમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવને આપવામાં આવેલી ઝેડ પ્લસ શ્રેણીની 'બ્લેક કેટ' સુરક્ષા કેન્દ્ર સરકાર પરત લેશે. સૂત્રોએ આ અંગેની જાણકારી સોમવારે આપી હતી. વીઆઇપી લોકોની સુરક્ષા પર ગૃહ મંત્રાલય તરફથી લાંબી સમીક્ષા કરવામાં આવી છે.