નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ તરીકે ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે.એમ. જોસેફના નામને મંજૂરી ના મળતા કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો. સરકારનું કહેવું છે કે જસ્ટીસ જોસેફને સુપ્રીમકોર્ટ પહોંચવામાં સિનિયોરીટીનું સૌથી મોટું અડચણ નડી રહ્યું છે. જો કે સરકારે કોલેજિયમની ભલામણને રોકવા પાછળ ઔપચારિક રીતે મૌન સેવ્યું છે.
પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર દેશભરમાં સુપ્રીમ કોર્ટમાં કાર્યરત ચીફ જસ્ટીસ અને જજોની વરિષ્ઠતા લિસ્ટમાં જસ્ટીસ જોસેફનું નામ સૌથી છેલ્લે છે. એટલે કે લગભગ 36 જજ તેમનાં સિનિયર છે. ઉલ્લેખનીય છે કે જસ્ટીસ જોસેફે ઉત્તરાખંડમાં મોદી સરકારે લગાવેલા રાષ્ટ્રપતિ શાસનને રદ કરી કોંગ્રેસ સરકાને સ્થાપિત કરી હતી અને ભાજપનો ખેલ બગાડ્યો હતો. ત્યારથી સરકાર તેમના પર ગુસ્સે છે.
સુપ્રીમ કોર્ટે પાંચ જજના કોલેજિયમે 10 જાન્યુઆરીના રોજ વરિષ્ઠ વકીલ અને બંધારણના વિશેષજ્ઞ ઈન્દુ મલ્હોત્રા તથા ઉત્તરાખંડના ચીફ જસ્ટીસ કે.એમ. જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવા માટે ભલામણ કરી હતી.
ફેબ્રુઆરીમાં ફરી એકવાર આ ભલામણ કરવામાં આવી. પરંતુ એપ્રિલના ત્રીજા અઠવાડિયે પણ સરકાર ટસની મસ થવાનું નામ લેતી નથી. આ વચ્ચે જસ્ટીસ ચેલમેશ્વર જસ્ટીસ કુરીઅન જોસેફ અને જસ્ટીસ મદન બી. લોકુરે પણ ચીફ જસ્ટીસ દિપક મિશ્રાને પત્ર લખીને સુપ્રીમ કોર્ટની ગરીમા જાળવવા અને સરકારની મનમાની રોકવા મટે દબાણ કર્યું હતું.