કેન્દ્ર સરકારે બુધવારે સેનામાં યુવાનોની ભરતી માટેની મોટી યોજના અગ્નિપથને મંજૂરી આપે તેવી પૂરી શક્યતા છે.
આર્મીમાં ભરતી થવા માગતા યુવાનો માટે ગૂડ ન્યૂઝ
આવતીકાલે સેનાના ત્રણેય વડાએ કરવાના છે સંયુક્ત પ્રેસકોન્ફરન્સ
અગ્નિપથ યોજનાની જાહેરાત કરે તેવી સંભાવના
અગ્નિપથ યોજના સેનામાં યુવાનોની ભરતી માટેની છે
આર્મીમાં ભરતી માટે દેશના યુવાનો માટે એક મોટા ખુશખબર છે. સરકાર ટૂંક સમયમાં જ સેનામાં અટકી પડેલી ભરતીને ખોલવા જઈ રહી છે. પરંતુ આ વખતે સરકાર ભરતી માટે નવી ભરતી યોજના પર કામ કરી રહી છે. આ યોજના 'અગ્નિપથ' તરીકે ઓળખાશે અને સૈનિકોને માત્ર ચાર વર્ષમાં સેનામાં જોડાવાનો વિકલ્પ આપશે.
આવતીકાલે યોજાશે મોદી કેબિનેટની બેઠક, અગ્નિપથ યોજનાને લીલીઝંડી મળવાની શક્યતા
માનવામાં આવી રહ્યું છે કે બુધવારે એટલે કે 8 જૂનના રોજ જો કેબિનેટ આ યોજનાને લીલીઝંડી આપશે તો જલ્દી જ દેશમાં તેનો અમલ કરવામાં આવશે.
સરકારે અગ્નિપથ યોજનાને સ્વીકારી છે
રક્ષા મંત્રાલયના તાબાના અધિકારી સૈન્ય મામલાનો વિભાગ આ દિવસોમાં સેનામાં ભરતી માટે નવી યોજના પર કામ કરી રહ્યુ છે. ગયા અઠવાડિયે આ યોજનાનો મુસદ્દો તૈયાર કરીને દેશના ટોચના નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. સરકારે આ યોજનાને સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં જો પીએમની આગેવાનીવાળી કેબિનેટમાં તેને પાસ કરવામાં આવે છે તો સેનામાં જલ્દી ભરતી શરૂ થઈ શકે છે. નવી ભરતી યોજનાને 'અગ્નિપથ' તરીકે ઓળખવામાં આવશે અને તેના હેઠળ ભરતી થયેલા સૈનિકોને 'અગ્નિવીર' નામ આપી શકાય છે.
2 વર્ષથી બંધ છે સેનામાં ભરતી
છેલ્લા બે વર્ષથી સેનાની ભરતી અટકી પડી છે. આ વર્ષની શરૂઆતમાં સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે સંસદમાં એક સવાલના જવાબમાં લેખિત જવાબ આપ્યો હતો કે કોરોના મહામારીને કારણે સેનાની ભરતી રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એરફોર્સ અને નેવીની ભરતી પર પ્રતિબંધ છે. જો કે ઓફિસર રેન્કની પરીક્ષાઓ અને કમિશનિંગ પર કોઈ અસર પડી નથી. પરંતુ સૈનિકોની ભરતી બંધ થવાને કારણે દેશના યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહની ચૂંટણી રેલીઓમાં પણ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત ભરતી રેલીઓ ન હોવાના કારણે અનેક અભિયાનો થયા છે.
સેનામાં ભરતી માટે કેવા હશે નિયમો
સેનામાં હાલના તબક્કે ચાર વર્ષ સુધી ભરતી કરવામાં આવશે.
ચાર વર્ષ પછી સૈનિકોની સેવાઓની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા બાદ કેટલાક સૈનિકોની સેવાઓને વધુ વિસ્તારી શકાશે. બાકીનાને નિવૃત્ત કરવામાં આવશે.
ચાર વર્ષની નોકરીમાં છથી નવ મહિનાની ટ્રેનિંગ પણ સામેલ હશે.
રિટાયરમેન્ટ બાદ પેન્શન નહીં મળે પરંતુ એક લમ્પ સમ રકમ આપવામાં આવશે.
ખાસ વાત એ રહેશે કે હવે આર્મી રેજિમેન્ટની ભરતી જાતિ, ધર્મ અને ક્ષેત્ર અનુસાર નહીં પરંતુ એક દેશવાસી તરીકે કરવામાં આવશે. એટલે કે કોઈપણ જાતિ, ધર્મ અને ક્ષેત્રનો યુવક કોઈપણ રેજીમેન્ટ માટે અરજી કરી શકશે.
જો આ યોજનાને ટૂંક સમયમાં જ લીલી ઝંડી મળી જાય તો આ વર્ષે ઓગસ્ટ મહિનાથી આર્મી (આર્મી, નેવી અને એરફોર્સ)માં ભરતી શરૂ થશે.