ડુંગળીના ભાવવધારા બાદ સરકાર હવે તુવેરદાળની વધતી જતી કિંમતને લઈ એલર્ટ થઈ ગઈ છે. સરકારે તુવેરદાળના ભાવને અંકુશમાં રાખવા માટે ઓપન માર્કેટમાં બે લાખ ટન તુવેરદાળ વેચવાનો નિર્ણય કર્યો છે. સરકાર પોતાના સ્ટોકમાંથી તુવેરદાળનું વેચાણ કરશે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર અત્યારે સરકાર પાસે ૩૯ લાખ ટન દાળનો સ્ટોક છે, તેમાંથી ૧૧.૫૩ લાખ ટન દાળનો બફર સ્ટોક છે, જ્યારે નાફેડ પાસે દાળનો ૨૭.૩૨ લાખ ટન સ્ટોક છે. આ ઉપરાંત સરકારે દાળની આયાત બે લાખ ટનની મર્યાદાને વધારી ચાર લાખ ટન કરવાનો પણ નિર્ણય કર્યો છે.
આ વર્ષે ભારત મોઝામ્બિક પાસેથી ૧.૭૫ લાખ ટન દાળની આયાત કરશે. સરકારે સંગ્રહખોરો અને સટ્ટાબાજો પર પણ બાજ નજર રાખવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર તુવેરદાળની બે લાખ ટન આયાત કરવા માટે આદેશ પણ જારી કરી દીધો છે.
મંત્રાલયે જણાવ્યું છે કે દાળની આયાત માટે પ્રાપ્ત અરજીઓના આધારે આગામી દસ દિવસમાં લાઇસન્સ પણ ઇશ્યૂ કરી દેવામાં આવશે. તુવેરદાળની છૂટક કિંમત દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પ્રતિકિલો રૂ.૧૦૦ને વટાવી ગઈ છે. આ વર્ષે ગઈ સાલની તુલનાએ તુવેરદાળનું ઉત્પાદન ૩૫ ટકા ઓછું થયું છે.
દિલ્હીના હોલસેલ માર્કેટના વેપારી સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે તુવેરદાળની હોલસેલ કિંમત પ્રતિકિલો ૯૫ની આસપાસ છે, જોકે દાળ મિલર્સનું કહેવું છે કે આયાતની પ્રક્રિયા પૂરી થતાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગશે અને ત્યારબાદ જ દાળના ભાવમાં રાહત મળવાની સંભાવના છે. વર્ષ ૨૦૧૫માં દાળના છૂટક ભાવ પ્રતિકિલો રૂ. ૨૦૦ને વટાવી ગયા હતા.