કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને દેશભરમાં દહેશતની વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વાર રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે અને આ વખતે કોરોના ટેસ્ટિંગ માટે કહેવામાં આવ્યું છે.
દેશમાં ત્રીજી લહેરની દહેશત
કેન્દ્રએ રાજ્યોને ફરીથી લખ્યો પત્ર
કોરોના વાયરસ ટેસ્ટિંગ વધારવા માટે હાંકલ
સતત એક્શનમાં છે કેન્દ્ર સરકાર, વારંવાર લખાઈ રહ્યા છે પત્ર
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસની ટેસ્ટિંગને લઈને રાજ્ય સરકારો સામે ચિંતા વ્યક્ત કરી છે. કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ફરીથી તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા માટે આદેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા લખવામાં આવેલ પત્રમાં હોટસ્પોટ વિસ્તારોમાં ખાસ રણનીતિ બનાવીને ટેસ્ટિંગ વધારવા માટે નિર્દેશ કર્યા છે.
શું આદેશ આપ્યા?
સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે અમુક રાજ્યોમાં કોવિડ ટેસ્ટિંગમાં ઘટાડો સામે આવ્યો છે જ્યારે કોરોના વાયરસ અને ઓમિક્રૉનના કેસ વધી રહ્યા છે.
એવામાં તમામ રાજ્યો વધારેમાં વધારે ટેસ્ટિંગ કરીને સંક્રમિત લોકોને આઇસોલેશનમાં મોકલવા માટે જલ્દીથી કામ પર લાગે. જલ્દી કાર્યવાહી કરવાથી કોરોનાવાયરસ ગંભીર લેવલ સુધી પહોંચે તે પહેલા જ વ્યક્તિને સારવાર મળી શકે છે.
સરકારની નીતિ પર પણ ઉઠતાં સવાલ
જોકે કેન્દ્ર સરકારની ICMR દ્વારા હાલમાં જ નવા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે કોરોના વાયરસના દર્દીના સંપર્કમાં આવેલ લોકોએ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જો શરીરમાં કોઈ લક્ષણ દેખાય તો જ ટેસ્ટ કરાવવો. એવામાં કેન્દ્ર સરકાર રાજ્યોને ટેસ્ટિંગ વધારવા માટે પણ આદેશ આપતા સરકારની નીતિ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.