ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ ગયા છે. ત્યારે આજથી આગામી સપ્તાહ સુધી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા જોવા મળશે.
રાજ્ય (Gujarat) માં આગામી થોડા મહિનાની અંદર એટલે કે વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે ત્યારે વિધાનસભા ચૂંટણીના પડઘમરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ પક્ષોએ પણ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે એકવાર ફરી ચૂંટણીલક્ષી તૈયારીઓને ધ્યાને રાખતા કેન્દ્રના દિગ્ગજ નેતાઓ PM મોદી, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, કે.સી વેણુગોપાલ અને અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતના આંગણે આવી રહ્યાં છે.
જુઓ કયા-કયા દિગ્ગજ નેતાઓ ક્યારે આવશે?
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આજે ગુજરાત આવશે
આપ પાર્ટીના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ એકવાર ફરી ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 22 અને 23 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે. Dy. CM અને શિક્ષણમંત્રી એવા મનીષ સિસોદિયા પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં CM કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. અમદાવાદ બાદ હિંમતનગરમાં એક કાર્યક્રમમાં પણ સામેલ થશે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક મહત્વની જાહેરાત પણ કરે તેવી શક્યતા છે. જ્યારે મનીષ સિસોદિયા 23 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે. મનીષ સિસોદિયા ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે.
બીજી બાજુ મિશન 2022ને લઇને હવે રાહુલ ગાંધી પણ આગામી સપ્તાહે ગુજરાત આવશે. રાહુલ ગાંધી અને મહાસચિવ કે.સી વેણુગોપાલ ગુજરાત આવશે. ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઇને આજે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત પણ આજે ગુજરાત આવશે કે જેઓ અમદાવાદમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે આજે બેઠક કરશે.
PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ આવશે ગુજરાત
બીજી બાજુ PM મોદી પણ ફરીવાર ગુજરાત આવશે. PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવશે. PM મોદી 27 ઓગસ્ટના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં PM મોદી જનસભાને સંબોધન કરશે. જ્યારે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છની મુલાકાત લેશે. 28 ઓગસ્ટે PM મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. અહીં ભુજમાં પણ PM મોદી જનસભાને સંબોધિત કરશે. PM મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનું ઉદ્ઘાટન કરશે.