રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધી રહી છે. એકદમ જ રાજકોટમાં કેસમાં પણ વધારો આવવાથી તંત્ર દોડતુ થઈ ગયુ છે.
દિલ્હીની કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજકોટમાં
કોરોનાના કેસો વધતા મુલાકાતે
સ્થાનિક અધિકારીઓ સાથે કરશે ચર્ચા
ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે તેમાં પણ ખાસ કરીને ચાર મહાનગરોની પરિસ્થિતિ તો ખુબજ ભયાવહ છે ત્યારે દિલ્લીની કેન્દ્રીય આરોગ્ય ટીમ આજે રાજકોટની મુલાકાતે છે. કોરોનાના કેસો બેકાબુ બનતા કેન્દ્રીય આરોગ્ય ટીમ જિલ્લાની સ્થિતિની સમિક્ષા કરીને સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચન કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય ટીમની સાથે ગાંધીનગરની ઉચ્ચ અધિકારીઓની ટીમ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
આજે 42 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1296 કેસ અને ગ્રામ્યમાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 891 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 213 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 265 કેસ, જ્યારે ગ્રામ્યમાં 141 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 340 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...