કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરત અને અમદાવાદની સમીક્ષા બાદ ગાંધીનગર પહોંચી હતી. સ્વર્ણિંમ સંકુલ-1માં તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. કોવિડની સારવાર અંગે એક્સપર્ટ ગ્રુપ ઓફ ડૉક્ટર્સની કમિટી સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય ટીમે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કેન્દ્રીય ટીમના સભ્ય વિનોદ પૌલ, AIIMSના ડોક્ટર રણદીપ ગુલેરિયા સહિતના ડૉક્ટર અને રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ ઉપસ્થિત રહ્યા હતા. સુરત, અમદાવાદ અને ગાંધીનગરની સમીક્ષા બાદ કેન્દ્રીય ટીમના વિનોદ પૌલે ગુજરાતની કામગીરીના વખાણ કર્યા હતા. તો રાજ્યના જિલ્લાઓમાં અપનાવવામાં આવેલ ધનવંતરી રથ જેવા મોડલને કેન્દ્ર લેવલે શરૂ કરવાની પણ વાત કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમની ગુજરાત મુલાકાત
સુરત, અમદાવાદ અને ગાંધીનગર ખાતે સમીક્ષા અને બેઠક યોજી
ગુજરાતની કામગીરીના વખાણ કર્યા
કેન્દ્રીય આરોગ્યની ટીમે સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસ મુદ્દે સમીક્ષા કરી હતી. તો AMCની સર્વેલન્સ રણનીતિથી બદલાવ આવ્યો હોવાનો કેન્દ્રની ટીમે સ્વીકાર કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય ટીમે પ્રેસ કોન્ફરન્સ કરીને વિનોદ પૌલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ હજુ ઘણા મહિના રહેશે. કોરોના વધે તો તે માટે તૈયાર રહેવું પડશે. કોરોના સામેની લડાઇ સૌ સાથે મળીને લડીશું. ગુજરાતની ટીમે કોરોનાને લઇને સારી કામગીરી કરી છે. ગુજરાતમાં હકારાત્ત્મક પ્રેક્ટિસ જોવા મળી છે. આપણે વ્યસન જેવી ખરાબ આદતો બદલવી પડશે. જો કોરોનાની આવી સ્થિતિ યથાવત રહે તો ડોક્ટર્સની અછત સર્જાય શકે છે. જેથી સ્ટુડન્ટ્સને તૈયાર કરવામાં આવે. શ્રમિકો હવે પોતાના કામ પર પરત ફરી રહ્યા છે.
ધનવંતરી રથની પ્રેક્ટિસના વખાણ કર્યા
જેમાં પૌલે કહ્યું હતું કે, ધનવંતરી રથની કામગીરી ખુબ જ શ્રેષ્ઠ છે. આ પ્રકારની પ્રેક્ટિસ કેન્દ્રીય લેવલે પણ શરૂ કરીશું. અમે સુરતમાં ડૉક્ટર્સની મુલાકાત કરી હતી. સુરત ગ્રામ્ય અને શહેરના અધિકારીઓને મળ્યા હતા. ખાનગી હોસ્પિટલ ભાગીદારી સાથે સારી કામગીરી કરી રહી છે. હીરા, ટેક્સટાઇલ્સ માટે સારા નિયમો બનાવવામાં આવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, અમદવાદામાં કેસ ઓછા થયા છે. અમે અમદાવાદની કામગીરી સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અમદાવાદ સહિત જિલ્લાઓમાં આરોગ્ય સેતુનું સારો ઉપયોગ થઇ રહ્યો છે. કમ્યુનિટી આઇસોલેશન વોર્ડનો કોન્સેપ્ટ સારો છે. તો અર્બન હેલ્થ મોડલ ગુજરાતમાંથી ઉભરી આવ્યું છે. ગાંધીનગર બેઠકમાં મૃત્યુદર અને પ્લાઝમા અંગે ચર્ચા થઇ છે. મૃત્યુદરમાં ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે, અહીંની ટીમ સારવારને સતત અપડેટ કરી રહી છે.
AIIMSના ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, આ મારી બીજી ગુજરાત મુલાકાત છે. ગત મુલાકાત કરતા આ વખતે રાજ્યની ખુબ સારી કામગીરી લાગી રહી છે. અમદાવાદમાં જે સ્ટેટર્જી બની છે, કોર્પોરેશને કામગીરી કરી છે તે અન્ય શહેરોમાં પણ કરવામાં આવે. ડોર ટુ ડોર સર્વેલન્સ જેવી કામગીરી ખુબ જ સારુ પરિવર્તન છે. ICUની સુવિધાઓમાં વધારો થયો છે. ધનવંતરી રથ બહુ જ સારુ મોડલ છે. ખુબ એવા દર્દીએ જેમને અલગ અલગ બિમારીઓ છે, તેમની સરખી સારવાર નથી થઇ રહી. તેથી આ ધન્વંતરિ રથથી નોન કોવિડ રથથી સુવિધા મળી છે. ટ્રિટમેન્ટ રેગુલર મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય ટીમ બીજી વખત કોરોનાને લઇને ગુજરાતની મુલાકાતે પહોંચી હતી. જેમાં તેમણે સૌપ્રથમ સુરતમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બાદમાં અમદાવાદમાં અને ત્યારબાદ ગાંધીનગર ટીમ પહોંચી હતી.