રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણના પગલે દિલ્હીથી ફરી એક વખત કેન્દ્રીય ટીમ ગુજરાત પહોંચી છે. દિલ્હીથી 4 સભ્યોની એક ટીમ સુરત પહોંચી છે. આવતીકાલે અમદાવાદ અને સુરતની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવની સાથે નિષ્ણાંત ડૉક્ટર પણ આ ટીમમાં સામેલ છે. કેન્દ્રની ટીમ ફરી વખત ગુજરાત આવતા AMC દોડતું થઈ ગયું છે કારણ કે, અગાઉ કેન્દ્રીય આરોગ્ય ટીમે AMCની ટીમની ઝાટકણી કાઢી હતી.
કેન્દ્રીય ટીમ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે
દિલ્હીથી 4 સભ્યની એક ટીમ સુરત અને અમદાવાદની લેશે મુલાકાત
રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવના નેતૃત્વમાં એક ટીમ ફરી ગુજરાત આવી છે. જેમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરીયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ ગુજરાતની મુલાકાતે છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સુરત પહોંચી
સુરતમાં વધતા કોરોનાના કેસના પગલે 4 સભ્યોની ટીમ સુરત પહોંચી છે. સુરતના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ACS જ્યંતી રવિ પણ ઉપસ્થિત રહેશે. સાથે SMC કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે. આવતીકાલે ટીમ નવી સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક કરશે. તેઓ વરાછા કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત પણ કરશે.
આવતીકાલે અમદાવાદની લેશે મુલાકાત
કેન્દ્રીય ટીમ આવતીકાલે સુરત અને બાદમાં અમદાવાદની મુલાકાત લેશે. આ કેન્દ્રીય ટીમ અમદાવાદના કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત લેશે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે અને જિલ્લા કલેક્ટર અને મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં અમદાવાદ બાદ સુરતમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને પણ ચર્ચા કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે કરશે બેઠક
સુરત અને અમદાવાદની મુલાકાત બાદ આવતીકાલે તેઓ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ટીમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે બેઠક કરશે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 45,567 પર પહોંચી ગયો છે અને જેમાં સૌથી વધુ 23,780 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. તો અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ટીમ સુરતની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરશે.
અગાઉ કેન્દ્રીય આરોગ્ય ટીમે AMCની ટીમની ઝાટકણી કાઢી હતી
આ અગાઉ કોરોનાના કહેરને લઈને કેન્દ્રીય આરોગ્યની ટીમ અમદાવાદની મુલાકાતે આવી હતી. ત્યારે કેન્દ્રીય આરોગ્યની ટીમે સેટેલાઈટ સેન્ટરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય આરોગ્યની ટીમે સેટેલાઈટ સેન્ટરની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમ આગળ સારી છાપ પાડવા માટે કોર્પોરેશનની ટીમ દ્વારા સ્ટીકર મારવામાં આવ્યા હતા. તો કેટલાક સવાલો પૂછતા કેન્દ્રની ટીમે કોર્પોરેશનના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. આ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ જવાબ આપી શક્યા ન હતા.
શું પૂછ્યા હતા કેન્દ્રની ટીમે સવાલો ?
અગાઉ કેસ આવ્યા તેમ છતા કાર્યવાહી કેમ ન કરાઈ?
આ ઝોનને કોણ મેનેજ કરે છે, એ મને માહિતી આપે
એક અઠવાડિયા પહેલા કેમ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો?
28 મે એ કેસ આવ્યો તો આટલા મોડા કેમ પડ્યા?
1 અઠવાડિયા પહેલા તમે કેમ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે ડિકલેર કર્યો કેમ મોડુ?
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 265 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 48 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8907 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 191 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5729 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 237 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2941 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 181 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,780 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 188 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,523 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1534 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3723 એક્ટિવ કેસ છે.