ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને થોડીક રાહત આપવામાં આવશે.
ગુજરાત માટે રાહતના સમાચાર
1 લાખ 63 હજાર 500 રેમડેસિવિર ઈંજેકશન મળશે
કેન્દ્ર સરકાર ગુજરાતને ફાળવશે જથ્થો
કોરોના મહામારીની વચ્ચે ગુજરાત માટે રાહત આપતા સમાચાર
કોરોના વાયરસના કારણે રાજ્યમાં હાહાકાર જેવી પરિસ્થિતિ છે. રાજ્યની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને ઑક્સીજન તથા ઇન્જેક્શનો ખૂટી પડ્યા છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં રેમડેસિવિર ઈંજેક્શન માટે મોટી મોટી લાઇન લાગી રહી છે. દર્દીઓને લાખ પ્રયત્નો બાદ પણ ઈન્જેક્શન મળી નથી રહ્યા ત્યારે કેન્દ્ર સરકાર છેક હવે ગુજરાતને થોડીક રાહત આપવા જઈ રહ્યું છે.
કોરોના વાયરસ મહામારી વચ્ચે હવે કેન્દ્ર સરકાર ગુજરાતને રેમડેસિવિર ઈન્જેક્શન પહોંચાડશે. મોદી સરકાર રાજ્યોને રેમડેસિવિર ઈન્જેક્શન આપશે જેમાં ગુજરાતના ભાગે 1 લાખ 63 હજાર 500 ઈન્જેક્શન આપવામાં આવશે. આ જથ્થો 30 એપ્રિલ સુધીમાં રાજ્યને મળી રહેશે.
કુલ 19 રાજ્યોને 11 લાખ ઈંજેકશન વેસલ મોકલાશે
માત્ર ગુજરાત જ નહીં દેશના કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે ઈન્જેક્શનની અછત ઊભી થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 30 એપ્રિલ સુધીમાં 11 લાખ ઈન્જેક્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધુ ઈન્જેક્શન મહારાષ્ટ્રને આપવામાં આવશે. સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઈન્જેક્શન આપવામાં આવશે. મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ગુજરાત છે, રાજ્યને 1,63,500 રેમડેસિવિર મળશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,553 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 125 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,802 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,50,865 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 125 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5740 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 361 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 84,126 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 495 નવા કેસ નોંધાયા હતા.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે તથા મૃત્યુ પણ દરરોજ વધી રહ્યા છે. ભારતમાં આજે કોરોના વાયરસના કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં એક જ દિવસમાં નવા 3,14,835 કેસ આવ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે. એક જ દિવસમાં 2,104 લોકોના મોત થયા છે જ્યારે 1,78,841 લોકો સાજા થયા છે.