બળજબરીથી થતા ધર્માંતરણ સામે કાયદો ઘડવા માટે પગલાં લેવામાં આવશે. આ મામલે કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે.
બળજબરીથી થતા ધર્માંતરણ વિરુધ્ધ કાયદો ઘડાશે
આ અંગેની ગંભીરતા સમજીને સુપ્રીમે જવાબ માંગો હતો
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો
કેન્દ્રએ કહ્યું છે કે બળજબરીથી થતા ધર્માંતરણ સામે કાયદો ઘડવા માટે પગલાં લેવામાં આવશે. આ મામલે કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. બળજબરીથી ધર્માંતરણને લગતી અરજીઓ પર જવાબ દાખલ કરતી વખતે કેન્દ્ર સરકારે આ જવાબ આપ્યો છે. કેન્દ્રએ કહ્યું છે કે સરકાર આ મુદ્દાની ગંભીરતાથી વાકેફ છે. કેન્દ્રએ તેના જવાબમાં કહ્યું છે કે ધર્મ પાળવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં અન્ય લોકોને ધર્માંતરણ કરવાનો અધિકાર સામેલ નથી.
ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનવો જોઈએ
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને બળજબરી અથવા છેતરપિંડી દ્વારા ધર્માંતરણ રોકવા માટે કડક પગલાં ભરવા માટે કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયનો દાવો છે કે આ સમસ્યા સમગ્ર દેશમાં પ્રવર્તે છે.
બળજબરીથી ધર્માંતરણ ગંભીર બાબત- જસ્ટિસ એમ.આર.શાહ
આ મામલે છેલ્લી સુનાવણી 14મી નવેમ્બરે થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી અને મહત્વની ટિપ્પણી કરી. SCમાં જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. દરેક વ્યક્તિને ધર્મ પસંદ કરવાનો અધિકાર છે પરંતુ બળજબરીથી ધર્માંતરણ દ્વારા નહીં. આ ખૂબ જ ખતરનાક છે. જસ્ટિસ એમઆર શાહે કહ્યું હતું કે તે દેશની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. જો કોઈ સ્વેચ્છાએ ધર્માંતરણ કરે છે તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો તે અન્ય કોઈ રીતે ધર્માંતરણ કરે છે તો કેન્દ્ર સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે.