કેન્દ્ર સરકારે કેબિનેટ સહિતમાં અલગ અલગ 16 સિનિયર બ્યુરોક્રેટ અધિકારીઓની બદલી કરી છે. જેમાં PMO જોઈન્ટ સેક્રેટરી સહિતના અગત્યના અધિકારીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ યાદીમાં IAS, IRS, રેલવે સર્વિસના અધિકારીઓ અને ઈકોનોમિક સર્વિસના અધિકારીઓનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે કરી 16 અધિકારીઓની બદલી
પી. અમૂધાની દિલ્હીમાં PMOમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક
IAS અધિકારી સુધીર કુમારની સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં સેક્રેટરી તરીકે નિમણૂંક
1994ની બેચના તામિલનાડુ કેડરના IAS અધિકારી પી અમુધાની PMOના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સાથે અન્ય 16 સિનિયર બ્યુરોક્રેટ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પી.અમુધાને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA)માં પ્રોફેસર તરીકેના પદેથી બદલીને આ પદે મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત દિલ્હી સરકારમાં કાર્યરત વર્ષા જોશીને કેન્દ્રમાં પશુપાલન અને ડેરી મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. તેમના બેચમેટ કેશવ ચંદ્રને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં ડાયરેક્ટરના પદે મુકવામાં આવ્યા છે. તેઓ બંને 1995ની બેચના AGMUT કેડરના IAS અધિકારીઓ છે.
તેમના બીજા એક બેચમેટ અને તે જ કેડરના અધિકારી સજ્જન યાદવને મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી બદલીને નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ ખાતામાં જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે.
બીજા એક 1999ની બેચના AGMUT કેડરના IAS અધિકારી સુધીર કુમારને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. 1996ની બેચના UP કેડરના IAS અધિકારી નિતીશ્વર કુમારને જળ સંશાધન મંત્રાલયમાંથી બદલીને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશનના સભ્ય સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે.
આ સિવાયના અન્ય અધિકારીઓમાં રેવન્યુ સર્વિસ, ઇકોનોમિક સર્વિસ, રેલવે સર્વિસ જેવા વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ એપોઈન્ટમેન્ટ ઓર્ડર્સનું પરિપત્ર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનિંગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જે યાદીને PM મોદીના વડપણ હેઠળની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે અપ્રુવ કરી હતી.