માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 માં સુધારા અંગે એક સૂચના બહાર પાડી છે.
કેન્દ્ર સરકાર દ્વાર બહાર પાડવામાં આવી સૂચના
વાહનોના ફિટનેસ સર્ટીને લઇને કરાયો નિયમમાં ફેરફાર
આવતા વર્ષે લાગુ થશે આ નવો નિયમ
પ્રદૂષણને ઓછુ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રીક વાહનોની શરુઆત કરવામાં આવી છે તેમજ વાહનોને લઇને સરકાર અવારનવાર કંઇકને કંઇ બદલાવ લાવે છે ત્યારે વધુ એકવાર સરકાર દ્વારા પ્રદૂષણને કંટ્રોલમાં કરવા માટે ખાસ નિયમ લાગુ કરવામાં આવ્યો. આ નિયમ મુજબ હવે તમામ વાહન માલિકોએ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો પરથી જ વાહન ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડશે. એટલે કે હવે અન્ય કોઈ જગ્યાએથી લીધેલ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ માન્ય રહેશે નહીં. સરકારે આ નિયમ શરૂ કરવા માટે 1 વર્ષનો સમય આપ્યો છે.
ફિટનેસ સર્ટી અહીંથી લેવું ફરજિયાત
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 માં સુધારા અંગે એક સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત પરિવહન વાહનો માટે માત્ર રજિસ્ટર્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા જ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. સરકાર આવતા વર્ષથી આ નિયમ લાગુ કરશે.
કયા વાહનો પર ક્યારથી લાગુ થશે નિયમો
નોટિફિકેશન મુજબ, 01 એપ્રિલ 2023થી ભારે માલસામાનના વાહનો અથવા ભારે પેસેન્જર મોટર વાહનો માટે તથા 01 જૂન 2024થી મધ્યમ માલસામાનના વાહનો અથવા મધ્યમ પેસેન્જર મોટર વાહનો અને હળવા મોટર વાહનો માટે આવી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે.
મંત્રાલયે સલાહ માંગી હતી
મંત્રાલયે અગાઉ નિયમોમાં ફેરફારની દરખાસ્ત કરતી ડ્રાફ્ટ સૂચના જાહેર કરી હતી અને અંતિમ સૂચના જાહેર કરતા પહેલા ચર્ચા, સમસ્યા અને સૂચનો માટે 30 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ નવા નિયમના અમલ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે વાહન ફિટનેસ સર્ટીફિકેટ જાહેર કરવા માટે બનાવવામાં આવેલો નિયમ આઠ વર્ષ જૂના વાહનો માટે બે વર્ષ તથા આઠ વર્ષથી પણ જૂના વાહનો માટે એક વર્ષ માટે ફિટનેસ સર્ટી આપે છે.
શું અસર થશે
આ નિયમના અમલથી પ્રદૂષણ ફેલાવતા વાહનોની સંખ્યામાં ઘટાડો થઈ શકશે. તેમજ આવા વાહનો જે ઘણા જૂના હોવા છતાં ગેરકાયદેસર રીતે દોડી રહ્યા છે, તેની સંખ્યા પણ ઘટશે. તેમજ નવા નિયમના અમલથી ટ્રાફિક જામ જેવી સમસ્યામાં પણ ઘટાડો થઈ શકશે.