કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને 9 રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરી છે.
અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
રાજ્યો ઇચ્છે તો હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે: કેન્દ્ર
દેશના ઓછામાં ઓછાં 10 રાજ્યોમાં હિંદુઓ છે લઘુમતી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, રાજ્યો પોતાના નિયમો અનુસાર સંસ્થાઓને લઘુમતી સંસ્થાઓ તરીકે માન્યતા આપી શકે છે. કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં સુપ્રીમ કોર્ટને કહ્યું કે, જ્યાં હિંદુઓ અથવા અન્ય સમુદાયો કે જેઓ લઘુમતી છે તે રાજ્ય એવાં સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કરી શકે છે. તેના આધારે તેઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને સંચાલિત કરી શકે છે.
કેન્દ્રએ એફિડેવિટમાં આ રાજ્યોનો કર્યો ઉલ્લેખ
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર અને કર્ણાટકનું ઉદાહરણ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રે 2016માં યહૂદીઓ માટે ધાર્મિક અને કર્ણાટકમાં ઉર્દુ, તેલુગુ, તમિલ, મલયાલમ, મરાઠી, તુલુ, લમાની, હિન્દી, કોંકણી અને ગુજરાતી ભાષાના આધાર પર તેઓને લઘુમતી જાહેર કર્યા છે અને અન્ય રાજ્યો પણ તે જ કરી શકે છે. હવે આ મામલે સોમવારે સુનાવણી થશે.
કેન્દ્ર સરકારે કહ્યું કે, અરજદારનું કહેવું છે કે, જમ્મુ-કશ્મીર, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ, લક્ષદ્વીપ, લદ્દાખમાં હિન્દુ, યહૂદી ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન નથી કરી શકતા, તે બરાબર નથી.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં તેમણે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ માટે અધિનિયમ, 2004ની કલમ 2(f) ની માન્યતાને પડકારી છે. ઉપાધ્યાયે પોતાની અરજીમાં, કલમ 2 (f) ની માન્યતાને પડકારતા કહ્યું હતું કે, તે કેન્દ્રને અપાર સત્તા આપે છે જે "સ્પષ્ટપણે મનસ્વી, અતાર્કિક અને નુકસાનકારક" છે.
દેશના ઓછામાં ઓછાં 10 રાજ્યોમાં હિંદુઓ છે લઘુમતી
અરજદારે દેશના વિવિધ રાજ્યોમાં લઘુમતીઓની ઓળખ માટે માર્ગદર્શિકા ઘડવાના નિર્દેશોની માંગ કરી છે. તેમની દલીલ એવી છે કે, દેશના ઓછામાં ઓછાં 10 રાજ્યોમાં હિંદુઓ પણ લઘુમતી છે, પરંતુ તેમને લઘુમતી યોજનાઓનો લાભ નથી મળતો.
સુપ્રીમ કોર્ટે ફટકાર્યો છે 7500 રૂપિયાનો દંડ
તમને જણાવી દઈએ કે, 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એફિડેવિટ માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. ત્યાર બાદ 31 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 7500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વાસ્તવમાં આ અરજી 2002 નાં TMA પાઈ કેસમાં સુપ્રીમ કોર્ટના બહુમતી નિર્ણય પર આધારિત છે. TMA પાઈ ફાઉન્ડેશન કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, રાજ્યને તેની મર્યાદામાં લઘુમતી સંસ્થાઓમાં રાષ્ટ્રીય હિતમાં ઉચ્ચ-કુશળ શિક્ષકો પ્રદાન કરવા નિયમનકારી વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે
આથી, શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય. સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્રની લઘુમતી, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી તરીકે પાંચ સમુદાયોની ઘોષણા સામે વિવિધ ઉચ્ચ અદાલતોમાં દાખલ કરેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી હતી અને મુખ્ય પિટિશન સાથે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.