ખાદ્યતેલમાં મસમોટો ભાવ વધારો ઝીંક્યા બાદ કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ નક્કી કરી. હવે ખાદ્યતેલના ભાવમાં થશે ઘટાડો, લાગે છે ચૂંટણી આવી ગઇ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
ખાદ્યતેલના ભાવમાં થશે ઘટાડો
કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ કરી નક્કી
ગૃહિણીઓ મોંઘવારીથી પરેશાન છે. ઘર ચાલવવા જરુરી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. કઠોળ, દૂધ, તેલ-ખાંડ સહિતની તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. મોંઘવારીના મારથી લોકો પરેશાન થઇ ગયા છે ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. તેવામાં રહી રહીને કેન્દ્ર સરકારને જાણે જ્ઞાન થયુ હોય તેમ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી ગૃહિણીઓને થોડી રાહતની લાગણી થશે. કેન્દ્ર સરકારે ખાદ્યતેલની કિંમતોના ભાવ ઓછા કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 6 રાજ્યો સિવાય સમગ્ર દેશમાં લાગુ પડશે.
કેન્દ્ર સરકારે લિમિટ કરી નક્કી
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે જે 30 જૂન, 2022 સુધી માન્ય રહેશે. છૂટક વિક્રેતાઓ 30 ક્વિન્ટલ ખાદ્ય તેલ અને 100 ક્વિન્ટલ ખાદ્ય તેલીબિયાંથી વધુનો સ્ટોક કરી શકશે નહિ. જ્યારે જથ્થાબંધ વેપારીઓ માટે 500 ક્વિન્ટલ ખાદ્ય તેલ અને 2000 ક્વિન્ટલ ખાદ્ય તેલીબિયાંના સ્ટોકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રિટેલ ચેન પોતાની દુકાનોમાં 30 ક્વિન્ટલ ખાદ્ય તેલ અને ડેપોમાં 1000 ક્વિન્ટલ સુધીનો સ્ટોક કરી શકે શે.
આ રાજ્યોમાં કોઇ સ્ટોક લિમિટ નહી
કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક રાજ્યોને વિશેષ છૂટ આપવામાં આવી છે, એટલે કે, અહીં સ્ટોક લિમિટ કરતાં વધુ સ્ટોર કરી શકાય છે. જો કે, તેઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સ્ટોક લિમિટનું પાલન કરવાનું રહેશે. છૂટ આપવામાં આવેલા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને બિહારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિકાસકારો, રિફાઇનર્સ, મિલરો, એક્સ્ટ્રેક્ટર્સ, જથ્થાબંધ વેપારી અને ડીલર કે જેમની પાસે આયાત-નિકાસ કોડ નંબર છે તેમને મુક્તિ આપવામાં આવી છે. જો કે, તેઓએ સાબિત કરવું પડશે કે સ્ટોક નિકાસ માટે છે કે આયાત કરીને મેળવેલો છે.
ગત વર્ષે તેલના ભાવ હતા આસમાને
ગત વર્ષે દેશમાં ખાદ્યતેલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. સરસવના તેલના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો. આ પછી સરકારે સરસવના તેલમાં મિશ્રણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ભાવમાં વધુ વધારો થયો હતો.. જો કે, વધેલી કિંમતોમાંથી રાહત આપવા માટે, સરકારે છેલ્લા કેટલાક મહિનામાં ઘણા પગલા લીધા છે, જેનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. સરકારે ફરી એકવાર સ્ટોક લિમિટ નક્કી કરી છે જેથી ભાવ ફરી ન વધે.