ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં લગભગ 55 થી 60 ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. એટલેકે દેશની અર્થ વ્યવસ્થા મોટાભાગે ખેતી-ખેડૂતો પર નિર્ભર છે. ભારત સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સમય મુજબ અલગ-અલગ યોજનાઓને લોન્ચ કરે છે. જેનો અત્યારે ફાયદો દેખાઈ રહ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં હવે પાકની ખેતી તરફ વળી રહ્યાં છે.
ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર સરકારનો આ છે પ્લાન
સરકાર ખેડૂતો માટે 12 આંકડાનો યૂનિક આઈડી જાહેર કરશે
જેના માટે ખેડૂતોને ડેટાબેઝ તૈયાર કરાવવામાં આવશે
ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ ઉઠાવી શકશે
કેન્દ્ર સરકાર એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પ્રારંભિક માહિતી મુજબ, સરકાર ખેડૂતોને 12 આંકડાનો યૂનિક આઈડી જાહેર કરશે. જેના માટે ખેડૂતોને ડેટાબેઝ તૈયાર કરાવવામાં આવશે. આ આઈડી દ્વારા ખેડૂતો કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ-અલગ યોજનાઓનો વધુમાં વધુ લાભ ઉઠાવી શકશે.
ખેડૂતોને યૂનિક આઈડી ફાળવાશે
કૃષિ મંત્રાલય મુજબ, ભારત સરકાર અત્યારે પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. જેમાં આખા દેશના અન્ય ખેડૂતોને પણ જોડવાની પ્રક્રિયા પર કામ ચાલુ છે. એક વખત ડેટાબેઝનું કામ પૂર્ણ થઇ જાય પછી સરકાર તરફથી ખેડૂતોને 12 આંકડાનો યૂનિક આઈડી ફાળવવામાં આવશે.
ડેટાબેઝ તૈયાર કરાવવાનો શું છે ઉદ્દેશ?
આ યૂનિક આઈડી એવા ખેડૂતોને આપવામાં આવશે, જેનું નામ ડેટાબેઝમાં હશે. અવાર-નવાર જોવામાં આવ્યું છે કે ઘણી યોજનાઓનો લાભ અન્ય લોકો પણ ઉઠાવતા હોય છે. એવામાં આવી બાબતો પર અંકુશ આવી જશે. આ ઉપરાંત ખેડૂત ખેતીમાં કઈ ટેકનિકનો અને કેવા બિજનો ઉપયોગ કરે છે તેની માહિતી પણ સરકાર પાસે રહેશે. આ માહિતી દ્વારા ખેડૂતનો લાભ વધારવા સરકાર પોતાની તરફથી જરૂરી પગલાં ભરી શકશે.