સરકારે 17 જૂનથી શરૂ થઇ રહેલા સંસદ સત્ર માટે બુધવારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો સહયોગ માંગ્યો છે. સૂત્રો અનુસાર, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી પોતાના મંત્રાલયના બે રાજ્ય મંત્રીઓ અર્જૂન રામ મેઘવાલ અને વી. મુરલીધરન સાથે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી.
મંત્રીઓએ ઈદ-ઉલ-ફિતરના અવસરે કોંગ્રેસના વરિષ્ઠ નેતાને શુભકામનાઓ આપી અને આગામી સંસદ સત્રમાં એમની પાર્ટીની મદદ માંગી હતી.
સૂત્રો જણાવે છે, સરકાર લોકસભા સત્રને ધ્યાને લેતા 16 જૂને સંસદમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જ્યાં તે સંસદ સત્રના યોગ્ય સંચાલનમાં તમામ રાજકીય પાર્ટીઓની મદદ માંગશે. લોકસભા સત્રની શરૂઆત 17 જૂને થશે. પહેલા બે દિવસ નવા સાંસદોના શપથ લીધા બાદ 19 જૂને અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
આપને જણાવીએ, 17મી લોકસભાના પહેલા સંસદીય સત્ર 17 જૂનથી 26 જૂલાઇ સુધી ચાલશે. જેમા 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે અને 5 જૂલાઇએ બજેટ રજૂ કરવામાં આવશે. પહેલા બે દિવસ લોકસભાના તમામ ચૂંટાઇ આવેલા સભ્યોને ગૃહના સભ્ય પદની શપથ અપાવવામાં આવશે. જે બાદ 19 જૂને સ્પીકરની ચૂંટણી બાદ 20 જૂને સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે.