કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં જણાવ્યુ કે બળાત્કારને સાબિત કરવા માટે પુરાવા પ્રસ્તુત કરી શકાય છે પરંતુ વૈવાહિક બળાત્કારમાં પુરાવા પ્રસ્તુત કરવા મુશ્કેલ છે.
કેન્દ્ર સરકારે મેરિટલ રેપ અંગે આપી સલાહ
પશ્ચિમ દેશોનું અનુકરણ ન કરવું જોઇએ
દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્રએ લેખિતમાં આપ્યો જવાબ
વૈવાહિક બળાત્કાર મામલે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં સલાહ આપતા જણાવ્યુ કે આ મામલે ભારતે સાવધાની રાખીને આગળ વધવાની જરુર છે. આપણે પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવું જોઇએ. પશ્ચિમી દેશોમાં વૈવાહિક બળાત્કારને અપરાધ ગણવામાં આવે છે પરંતુ ભારતની પોતાની સમસ્યાઓ છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે ભારતમાં સાક્ષરતા, આર્થિક નબળાઇ, મહિલા સશક્તિકરણની અભાવ અને ગરીબી જેવા કારણો છે જેથી આ મામલે સાવધાની પૂર્વક આગળ વધવુ જોઇએ.
વૈવાહિક બળાત્કારની કોઇ વ્યાખ્યા નથી
વૈવાહિક બળાત્કારની અરજીઓ અંગે દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યુ કે વૈવાહિક બળાત્કારને કોઈ કાયદા હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી. જ્યારે IPCની કલમ 375 હેઠળ બળાત્કારની વ્યાખ્યા કરવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું કે તેને ગુનો જાહેર કરવા માટે વ્યાપક આઘારની જરૂર પડશે. આ માટે સમાજમાં પણ સર્વસંમતિ હોવી જોઈએ. વૈવાહિક બળાત્કાર શું છે તે સમાજને જણાવવાની જરુર છે.
વૈવાહિક બળાત્કાર સાબિત કરવો મુશ્કેલ
કેન્દ્રએ કહ્યું કે આઈપીસીની કલમ 376 હેઠળ બળાત્કારના આરોપીઓને સજા કરવાની ઘણી જોગવાઈઓ છે. જેમ કે ઈજાના નિશાન, મારપીટ, શરીરના અંગોને બળજબરીથી સ્પર્શ કરવો, પરંતુ વૈવાહિક બળાત્કારમાં આ પુરાવાઓની પુષ્ટિ કરવી મુશ્કેલ ભર્યુ છે.