આજે ગાંધીનગરમાં કેન્દ્ર સરકારે વ્હીકલ સ્ક્રેપ પોલિસી (VVMP) લૉન્ચ કરી દીધી છે. આ પૉલિસી દેશના રસ્તાઓ પર ચાલતા 15થી 20 વર્ષના જૂના વાહનોને હટાવવા માટે લૉન્ચ કરાઈ છે.
વ્હીકલ સ્ક્રેપ પોલિસી (VVMP) લૉન્ચ
વ્હીકલનું ફિટનેસ ટેસ્ટ કરવું જરૂરી
શમાં રોડ સેફ્ટી વધશે અને પ્રદૂષણ પણ ઓછું થશે
કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપ પૉલિસીને આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન PM મોદી અને ગડકરી બંનેએ આ પૉલિસીના ફાયદાને લઈને વિસ્તારથી વાત કરી હતી. ત્યારે જાણીએ આ નવા નિયમોથી ગ્રાહકોને શું ફાયદો થશે.
આ નવી પૉલિસી જાહેર થતાંની સાથે લોકોમાં ચર્ચા એ થવા લાગી છે કે હવે જેમના 15થી 20 વર્ષ જૂના વાહનો હશે તેમનું શું થશે અને તેમણે સૌપ્રથમ શું કરવાનું રહેશે. તો આ વાતનો જવાબ છે કે હવે સરકાર સૌપ્રથમ ફિટનેસ સેન્ટર બનાવશે જ્યાં તમારા વ્હીકલનું ફિટનેસ ટેસ્ટ કરાશે જેનાથી ખ્યાલ આવશે કે તમારા વાહનને ભંગારમાં નાંખવાનો સમય આવી ગયો છે કે નહીં. આ બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.
હવે તમારા જૂના વાહનોનું શું થશે?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે વ્હીકલ સ્ક્રેપ પૉલિસી (Vechile Scrap Policy) મુજબ વાહનોએ એક ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ માટે દેશભરમાં PPP મોડલથી 400 થી 500 વ્હીકલ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. જ્યારે 60થી 70 રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સેન્ટર (Vechile Scrapping Center) બનાવાશે. ગડકરીએ કહ્યું કે સરકારની કોશિશ છે કે ફિટનેસ ટેસ્ટ માટે કોઈ પણ વાહનને 150થી 200 કિલોમીટરથી વધારે દૂર જવું ન પડે. આ ફિટનેસ સેન્ટર સંપૂર્ણ રીતે ઓટોમેટેડ હશે.
સ્ક્રેપ વાળી ગાડીઓને સર્ટીફિકેટ મળશે
PM મોદીએ પણ આ સમિટમાં જણાવ્યું હતું કે સ્ક્રેપ થનારી ગાડીઓ માટે સર્ટીફિકેટ મળશે. જ્યારે નવી ગાડી ખરીદશો તો તમને રજિસ્ટ્રેશનના રૂપિયામાં પણ છૂટ મળશે સાથે જ રોડટેક્સ પર પણ છૂટ મળશે. સાથે જ તેમણે કહ્યું કે વાહનોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ટેસ્ટ કરીને તેને સ્ક્રેપ કરવામાં આવશે ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
40 ટકા સસ્તા થશે નવા વાહનો
નીતિન ગડકરીએ કહ્યું કે આ સ્ક્રેપિંગ પોલિસી નવા વાહનોને 40 ટકા સસ્તા સુધી બનાવશે. કારણ કે જૂની ગાડીઓમાંથી જે ભંગાર નીકળશે તેનું 99 ટકા જેટલું મેટલ રિકવર કરી શકાય છે. જેનાથી નવા વાહનોના ઉત્પાદનનો ખર્ચ ઘટશે. જ્યારે ઇલેક્ટ્રોનિક સામાન અને વાહનો માટે પણ કૉપર, લિથીય જેવો કાચો માલ પણ ભંગારમાંથી મળશે જેથી અન્ય પ્રોડક્ટ પણ સસ્તા થશે.
આ પૉલિસી દરેક માટે ફાયદાકારક
કેન્દ્રીય મંત્રી ગડકરીએ આ પોલિસીના ફાયદા જણાવતા કહ્યું કે આ નવા નિયમોથી તમામ લોકોને ફાયદો થશે. ગ્રાહકોને ગ્રીન ટૅક્સથી છૂટ મળશે, 40 ટકા સસ્તા વાહનો, ફ્યૂઅલ પર બચ, મેન્ટેનન્સ ખર્ચ જેવા અનેક ફાયદા થશે. જ્યારે ઓટો કંપનીઓનું વેચાણ વધશે અને ઉત્પાદન ખર્ચ ઓછો થવાથી તેની નિકાસ પણ વધશે, ભંગારના ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે અને નવી રોજગારી ઊભી થશે. જ્યા.રે નવા વાહનોના વેચાણથી સરકારને GST સ્વરૂપે 30થી 40 હજાર કરોડની આવક થશે. આ પૉલિસીથી દેશમાં રોડ સેફ્ટી વધશે અને પ્રદૂષણ પણ ઓછું થશે.
આવનારા 25 વર્ષ મહત્વના રહેશે
PM મોદીએ કહ્યું કે નવી સ્ક્રેપિંગ પોલિસિ વેસ્ટ ટૂ વેસ્થના મંત્રને આગળ વધારશે. આવનારા 25 વર્ષ ગણા મહત્વના રહેશે. જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તે પ્રમાણે આપણે પરિવર્તન લાવવું પડશે. સાથેજ વડાપ્રધાને કહ્યું કે આપણે ક્લાઈમેટ ચેન્જની ચેતવણીનો સામનો કરી રહ્યા છે. જેથી આપણા હિત માટે આપણે મોટા પગલા લેવા પડશે.
પોલિસીથી ઓટો મેટલ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે
આ પોલીસી દ્વારા ઓટો મેટલ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું. ઉપરાંત તેમણે કહ્યું કે સ્ક્રેપિંગ ફીલ્ડમાં કામ કરવા વાળા લોકોને ઘણો ફાયદો થશે અને ઈન્ડ્સ્ટ્રીના લોકો પાસે 25 વર્ષનો આત્મનિર્ભર ભારતનો રોડમેપ રહેશે. જૂની નીતિઓને બદલવી પડશે સાથેજ તેમણે કહ્યું જૂની નીતિઓને બદલીને નવી નીતિઓ પર કામ કરવું પડશે.
સરકાર મદદ માટે તત્પર
ઈથેનોલ હોય, હાઈડ્રોજન ફ્યુલ હોય કે પછી ઈલેક્ટ્રિક મોબિલિટી હોય, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઈન્ડસ્ટ્રીની સક્રિય ભાગીદારી ઘણી જરૂરી છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું સાથેજ તેમણે કહ્યું કે R&D થી લઈને ઈન્ફ્રાસ્ટ્રચર સુધી ઈન્ડસ્ટ્રીએ પોતાનો ગ્રોથ કરવો પડશે. તેના માટે જે પણ મદદ જોઈતી હશે સરકાર તે પહેલા કરશે.
PM મોદીએ સમિટની શરૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે એક ઈન્વેસ્ટર સમિટનું આયોજન થાય છે. આ સમિટની શૂઆત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ સાત કંપીનીઓએ સરકાર સાથે એમઓયુ સાઈન કર્યું છે. જેમા 6 ગુજરાતની અને એક અસમની કંપની શામેલ છે.