કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે DA અને DA એરિયરની મોટાપાયે ઉપાડે જાહેરાત તો કરી દીધી હતી પરંતુ હવે સરકાર આ મુદ્દે પાછીપાની કરતા કર્મચારીઓ રોષે ભરાયા છે અને સરકારની વિરૃદ્ધ મોરચો માંડ્યો છે.
સરકાર 30 દિવસની અંદર ડીએ છુટું કરે અન્યથા સુપ્રીમમાં જઈશું- કર્મચારીઓ
કર્મચારીઓએ કેન્દ્ર સરકારને 30 દિવસનો સમય આપીને રોકી રખાયેલું ડીએ, ડીઆર છૂટુ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જેસીએમના સભ્ય અને એઆઈડીએફના મહાસચિવ સી શ્રીકુમારે ૩ સપ્ટેમ્બરે કેબિનેટ સચિવને પત્ર લખ્યો છે કે જો સરકાર એક મહિનામાં કર્મચારીઓની બાકી રકમ અંગે કોઈ જાહેરાત નહીં કરે તો આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ જશે.
સરકારે કોરોનાની આડમાં કર્મચારીઓના DA પર પ્રતિબંધ મૂક્યો
શ્રીકુમારે કહ્યું કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે કોવિડ-19ની આડમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ-ડીઆર પર પ્રતિબંધ મૂક્યો હતો. રેલવે, સંરક્ષણ, ટપાલ અને હોસ્પિટલના જવાનોએ તેમની જવાબદારી નિભાવી હતી. આ કર્મચારીઓએ પીએમ કેર ફંડમાં એક દિવસનો પગાર જમા કરાવી દીધો હતો. સરકારે કર્મચારીઓની ૧૧ ટકા ડીએની ચુકવણી અટકાવીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી હતી. કર્મચારીઓના દબાણને કારણે કેન્દ્રએ 1 જુલાઈથી 11 ટકાના દરે ડીએ-ડીઆર જારી કરવાનો નિર્ણય લીધો છે.
પગાર અને પેન્શન એ કર્મચારીઓનો સંપૂર્ણ અધિકાર
શ્રીકુમારે જણાવ્યું કે પગાર અને પેન્શન એ કર્મચારીઓનો સંપૂર્ણ અધિકાર છે. નેશનલ કાઉન્સિલ (જેસીએમ)ના સેક્રેટરી/સ્ટાફે ડીએ/ડીઆરને ફ્રીઝ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારનું આ પગલું પગાર પંચોની સ્વીકૃત ભલામણોની વિરુદ્ધ છે.