આજે ગુજરાતમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 49 મોત થયા જે સમગ્ર દેશમાં અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા મોતમાં સૌથી વધુ છે. આ મહામારીમાં ગુજરાત રાજ્યની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. મંગળવારે 441 કોરોનાના કેસ નોંધાતા રાજ્યમાં કુલ આંકડો 6245 પહોંચ્યો છે જ્યારે કુલ મૃતાંક 368 પર છે.
AMC કમિશનર વિજય નહેરા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતા તેમને 2 અઠવાડિયા હોમ ક્વોરેનટાઈન કરી દેવાયા
સિનિયર IAS અધિકારી પંકજ કુમારને રાજ્યના આરોગ્ય વિભાગની મદદ અને માર્ગદર્શન માટે નિમવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુદરની વાત કરીએ તો 5.9 ટકા પર પહોંચ્યો છે જે ચિંતાજનક છે. બીજી બાજુ મંગળવારે 186 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં જેના પગલે રિકવરીનો કુલ આંક 1381 પર પહોંચ્યો છે.
અમદાવાદના આંકડા ચિંતાજનક
રાજ્યના મહાનગર અમદાવાદને કોરોનાએ પોતાના સકંજામાં લીધું છે જ્યાં મંગળવારે નવા 349 કેસ અને 39 મોત નોંધાયા છે. શહેરમાં કુલ કેસ 4425 જેટલાં છે જયારે 273 લોકો મોતને ભેટ્યા છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસ કેન્દ્ર સરકારમાં ચિંતાનું કારણ બન્યા છે. જેના પગલે મોદી સરકારે રૂપાણી સરકારને મહામારીમાં યોગ્ય પગલા લઈ સ્થિતિ કાબૂમાં લેવાનો આદેશ આપ્યો છે.
જેના પગલે બેકાબૂ રીતે વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સિનિયર IAS અધિકારી ડૉક્ટર રાજીવ કુમાર ગુપ્તાને કોરોના સંકટ મુદ્દે અમદાવાદમાં થતી કામગીરીના નિરીક્ષણનો ચાર્જ સોંપ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ મહાનગર પાલિકાના કમિશ્નર વિજય નહેરા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતા તેમને 2 અઠવાડિયા હોમ ક્વોરેનટાઈન કરી દેવાયા છે અને સિનિયર IAS અધિકારી મુકેશ કુમારને ઇનચાર્જ કમિશ્નર બનાવાયા છે. જે રાજીવકુમારના ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કામ કરશે.
આ ફેરફાર થતાંની સાથે જ ચીફ સેક્રેટરી અનિલ મુકીમની અધ્યક્ષતામાં AMC કમિશ્નર મુકેશ કુમાર અને ડૉ રાજીવકુમાર ગુપ્તાની વીડિયો કૉન્ફરન્સ મારફતે બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન પણ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં આગામી રણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
IAS અધિકારી પંકજ કુમારને રાજ્યના આરોગ્ય વિભાગની મદદ અને માર્ગદર્શન માટે નિમવામાં આવ્યા
બીજા એક મહત્વના ફેરફારમાં સિનિયર IAS અધિકારી પંકજ કુમારને રાજ્યના આરોગ્ય વિભાગની મદદ અને માર્ગદર્શન માટે નિમવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ પગલું એટલે લેવામાં આવ્યું છે કે હાલના આરોગ્ય પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતિ રવિના કામથી કેન્દ્ર સરકાર નારાજ છે. દિલ્હીમાં ગુજરાતની વકરતી સ્થિતિ ઉપર નારાજગી વ્યક્ત થઇ રહી છે અને આ માટે જ આ પ્રકારના ફેરફારો લાગુ કરાયા છે એવી ચર્ચા છે.
CM અને ડેપ્યુટી CM વચ્ચેના મતભેદો આ પાછળ કારણભૂત?
ફક્ત દિલ્હી જ નહીં સૂત્રોના કહેવા પ્રમાણે તો ગાંધીનગરથી પણ રાજ્ય સરકારનો શાસક પક્ષ AMC કમિશ્નર વિજય નહેરા અને આરોગ્ય પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતિ રવિના અમદાવાદમાં કોરોનાને નિયંત્રિત કરવાના પ્રયત્નોથી નાખુશ છે. રાજ્યમાં એવી ચર્ચા છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ જેઓ પહેલા આરોગ્ય મંત્રી હતા તે બંને વચ્ચેના મતભેદોના કારણે પણ અમદાવાદમાં સ્થિતિ કાબૂમાં નથી આવી રહી. જો કે અમદાવાદની સ્થિતિ વકરે તો તેના પડઘા કેન્દ્ર સરકાર સુધી પડે તે સ્વાભાવિક છે.
એવું જાણવા મળ્યું છે કે ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને PM મોદીના વિશ્વાસુ K કૈલાશનાથન બંને સિનિયર અધિકારીઓએ આ રાજ્યમાં કોરોનાનો ચેપ વકરતો રોકવા માટે લેવાયેલા આ પગલાઓ લાગુ કરવા માટે ઘણા રાજકીય નેતાઓને સમજાવટ કરવી પડી હતી