કેન્દ્ર સરકારે ગુરૂવારે ઘઉંના લોટના ભાવ પર લગામ લગાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
મોંઘવારીને ડામવા કેન્દ્રનો નિર્ણય
ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ
કિંમત પર અંકુશ લગાવવા કરાયો નિર્ણય
રશિયા અને યુક્રેન ઘઉંના પ્રમુખ નિકાસકાર છે. કારણ કે બંને દેશોનો વૈશ્વિક ઘઉંના વેપારમાં 1/4 હિસ્સેદારી છે. પણ બંને વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે ઘઉંની નિકાસ પર સૌથી વધુ અસર થઈ છે. જેથી ભારતના ઘઉંની માંગ એકાએક વધી ગઈ છે.
ઘઉંના લોટની નિકાસ પર કેન્દ્રની રોક
જેથી હવે કેન્દ્ર સરકારે ગુરુવારે ઘઉંના લોટની કિંમત પર અંકુશ લગાવવા મોટો નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની આર્થિક મામલાની મળેલી બેઠકમાં ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીક નિવેદન મુજબ કેબિનેટના આ નિર્ણયથી ઘઉંના લોટની સતત વધતી કિંમત પર રોક લગાવી શકાશે. તેના નિકાસ પર પ્રતિબંધને મંજૂરી મળતા હવે સમાજના નીચલા વર્ગ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્વિત થશે. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય આ મામલે અધિકારીક સૂચના આપશે.મહત્વનું છે કે આ પહેલા ઘઉંના નિકાસ પર કેન્દ્રએ રોક લગાવી દીધી હતી જેથી ઘઉંના લોટની વિદેશી માંગમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
200% વઘી ગઈ ઘઉંના લોટની નિકાસ
ભારતમાં ઘઉંના લોટની નિકાસ આ એપ્રિલ-જુલાઇ મહિનામાં વાર્ષિક આધાર પર 200% વધી ગઈ છે. આ પહેલા ઘઉંના લોટની નિકાસ પર કોઈ રોક કે પ્રતિબંધ લગાવવાની નીતિ ન હતી. જેથી હવે ખાદ્ય સુરક્ષા સુનિશ્વિત કરવા માટે તેમજ ઘઉંના લોટની કિમંતને આસમાન પરથી જમીન પર લાવવા માટે કોઈ ઠોસ પગલાંની જરૂર હતી. જે બાદ કેન્દ્ર સરકારે આજે નિકાસ નીતિમાં ફેર કરી ઘઉંના લોટની નિકાસ પર તાબડતોબ રોક લગાવી દીધી છે.
અગાઉ 13 મે એ કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર લગાવી હતી રોક
આ પહેલા મે મહિનાની 13 તારીખે કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર શરતો સાથે પ્રતિબંધ લગાવી દીધો હતો. ઘરેલૂ બજારમાં ઘઉંની કિંમતમાં તોતિંગ વધારો થતાં સરકારે આ નિર્ણય લીધો હતો. આ પાછળ કારણ દર્શાવતા સરકારે કહ્યું હતું કે, ઘઉંની વૈશ્વિક કિંમતમાં અચાનક વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ ભારત, પાડોશી દેશ અને અન્ય નબળા દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં છે. રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે ઘઉંની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે.