આજે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં YES બેંકના રિસ્ટ્રક્ચરિંગના પ્લાનિંગને લઈને પણ મંજૂરી મળી શકે છે. આ સાથે જ કર્મચારીઓને અને પેન્શનધારકોને માટે મોંઘવારી ભથ્થાનું એલાન પણ કરવામાં આવી શકે છે. આ સિવાય કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થાને થનારા નુકસાનની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.
આજે મળશે કેન્દ્રીય કેબિનેટની બેઠક
બેઠકમાં યસ બેંક, કોરોના વાયરસ અને મોંઘવારી ભથ્થાની સાથે પેન્શનધારકો માટે થઈ શકે છે ચર્ચા
ટેક્સને લઈને પણ ખાસ યોજનામાં મળી શકે છે રાહત
કેબિનેટની બેઠકમાં વિશેષ પ્રોત્સાહક યોજના RoDTEP ને પણ મંજૂરી આપી શકાય છે. આ યોજના નિકાસકારો માટે રહેશે. RoDTEP એ કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના છે જેમાં નિકાસ કરવામાં આવતા ઉત્પાદનો પર ટેક્સ અને ડ્યુટી પર થોડી રાહત આપી શકાય છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેબિનેટની આ બેઠક દરમિયાન યસ બેન્કની પુનર્ગઠન યોજના મળી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની સેન્ટ્રલ બોર્ડ (ECCB) ની એક્ઝિક્યુટિવ કમિટીએ યસ બેંકમાં 725 કરોડ શેર ખરીદવાની મંજૂરી આપી છે. SBI હવે યસ બેંકમાં શેર દીઠ 10 રૂપિયાના દરે 725 કરોડ શેર ખરીદશે. મતલબ કે એસબીઆઈ યસ બેંકને સંકટથી બચાવવા માટે 7,250 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
4 ટકા મોંઘવારી ભથ્થાનું કરી શકે છે જાહેરાત
આજે થનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પણ મોંઘવારી ભથ્થા પર નજર રાખશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બેઠકમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને 4 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે. ગયા અઠવાડિયે રાજ્યસભાના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે માહિતી આપી હતી કે માર્ચ મહિનાના પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થઈ જશે.