ગીરઃ એક બાદ એક સિંહના મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. અમરેલી ધારી અને ગીરના પૂર્વ પંથકમાં 10 દિવસમાં 11 સિંહનાં મોત થયા હતા. જેના કારણે વનવિભાગ અને સરકારની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને કેન્દ્રની 2 અધિકારીઓની ટીમ તબડતોબ ગુજરાત આવી પહોંચી છે. જોઇન્ટ ડાયરેક્ટર વાઇલ્ડલાઇફ પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના AIG ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસ દરમિયાન સિંહોના વસવાટના સ્થળોની મુલાકાત લેશે. સિંહોના સંરક્ષણ અને વધી રહેલી વસ્તી અંગે માહિતી મેળવશે. સિંહો માટે લાંબા ગાળાના આયોજન માટે સુચન કરશે.
શું છે સમગ્ર મામલો?
ધારી અને અમરેલી વિસ્તારમાં સિંહોનું એક ગ્રુપ વસવાટ કરી રહ્યું હતું. ચાર દિવસમાં ચાર સિંહોના મૃતદેહ વનવિભાગને કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં બે દિવસ પહેલા એક સિંહનો અને ગઈકાલે એક સાથે ત્રણ સિંહના મૃતદેહ સરસીયા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. ચાર સિંહોમાં પાંચ વર્ષના એક સિંહ સાત વર્ષની એક સિંહણ દોઢ અને અઢી વર્ષના બે પાઠડા સિંહનો સમાવેશ થાય છે. આ મામલો બહાર ન જાય તે માટે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ તાબડતોબ સિંહોના મૃતદેહને સ્થળ પર જ પેનલ પી.એમ કરાવીને ચારેયને અગ્નિદાહ આપી દીધો હતો. આ સિંહોના મોત ફેફસાની બીમારીના કારણે થયાનું ગાણું ગાઈને ૧૫ દિવસ બાદ પીએમ રિપોર્ટમાં સાચું કારણ બહાર આવશે તેવું રટણ કરી રહ્યા હતા.
સમગ્ર ઘટના શંકાના ઘેરામાં!
બીજી તરફ ધારી ગીર પૂર્વેના ડીએફઓ અને આરએફઓના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળતા સમગ્ર ઘટના શંકાના ઘેરામાં આવી હતી. જો કે સમગ્ર મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને સરકારે કાર્યવાહી કરવાની ફરી એકવાર બાંહેધરી આપી હતી.
11 સિંહોના મોત માટે જવાબદાર કોણ?
સમગ્ર મામલે વિવાદ થતા બંને અધિકારીઓ ભીસમાં મુકાયા હતા. હવે મૌન ધારણ કરી કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ દલખાણીયા રેન્જના ઇન્ચાર્જ એસીએફ વિજય ચૌધરીએ જણાવ્યું કે ગત ૧૦ દિવસમાં ૧૧ સિંહના મોત થયા છે. જેમાં 3 સિંહબાળનું આંતરિક લડાઈમાં અને 3 સિંહ બાળના સારવાર હેઠળ મોત થયા છે. જ્યારે એક વણઓળખાયેલી ડેડબોડી મળી હતી જે કહેવું મુશ્કેલ હતું કે તે સિંહ હતો કે સિંહણ અને હાલ મળેલા ચાર સિંહના મૃતદેહ મળીને કુલ ૧૧ના મોત થયા છે. જેને લઈને સવાલો ઉભા થયા હતા કે ગીરના જંગલમાં 10 દિવસમાં 11 સિંહનાં મોત જવાબદાર કોણ? વન વિભાગે કેમ છૂપાઈને ચારેય સિંહના કર્યા અગ્નિસંસ્કાર ? શું વનવિભાગ પોતાની કામગીરી સરખી રીતે નથી કરી રહી? શું સરકાર એશિયાટીક લાયનને નથી રાખવામાં સક્ષમ? વનવિભાગની બેદરકારી ગણવી કે ષડયંત્ર? ખનન માફિયાઓના ત્રાસથી સિંહ કરે છે સ્થળાંતર? ઈનફાઈટથી મોત થયાનું રટણ કરે છે વનવિભાગ હકીકત શું? આવા અનેક સવાલ તત્ર સામે ઉભા થયા છે.
કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને આડેહાથ લીધી હતી. ચાવડાએ જણાવ્યું હતું કે સિંહોના મોતના કારણ પણ સરકાર શોધી શકી ન અને વન વિસ્તારોમાં ખનનને કારણે સિંહો અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે. ગેરકાયદેસર ખનનથી સિંહો સામે ખતરો ઉભો થયો છે. સરકાર કાર્યવાહી નહી કરે તો સિંહોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે જે કોઈ ગુજારતી ન ઈચ્છે. આ ઉપરાંત નજર કરીએ તો ગીરના જંગલમાં વર્ષ ર૦૧૬-૧૭ના બે વર્ષમાં ૧૮૪ સિંહોનાં મોત થતાં વિશ્વભરમાં ચર્ચા જન્મી હતી. આટલા સિંહોના મોત બાબતે કોર્ટે સરકારને નોટીસ ફટકારી ખુલાસો પણ માગ્યો હતો. મહત્વની વાત એ છે કે તમામ સિંહના મોત કુદરતી રીતે થયા ન હતા. જેના કારણે સિંહ પ્રેમીઓ અને અન્ય લોકો રોષે ભરાયા હતા.