મમતા બેનરજીએ પીએમ મોદીને રાહ જોવડાવી
યાસ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તારાજી સર્જાઇ છે, ઘણા બધા લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે ત્યારે પીએમ મોદી આ વાવાઝોડા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. એક તરફ જ્યાં ઓડિશામાં મુખ્યમંત્રી નવીન પટનાયકે પોતે પીએમ મોદીની આગેવાની કરી અને તેમની સાથે બેઠક કરીને સમગ્ર માહિતી આપી, આટલું જ નહીં સામેથી કહ્યું કે કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર પર બોજો વધેલો છે તેથી વળતર ન આપશો. બીજી તરફ મમતા બેનરજીએ પીએમ મોદીને મીટિંગ માટે પીએમ મોદીને 30 મિનિટ સુધી રાહ જોવડાવી, ત્યાર બાદ પીએમ મોદીને રિપોર્ટ સોંપ્યો અને ત્યાંથી રવાના થઈ ગયા. મમતા બેનરજીના આ કૃત્ય બાદ દેશભરના મોટા મોટા નેતાઓ, કેન્દ્રીય મંત્રીઑએ તેમની ટીકા કરી છે. એવામાં હવે કેન્દ્ર સરકારે મમતા બેનર્જીના અધિકારી પર કાર્યવાહી કરી છે.
ચીફ સેક્રેટરીને તાત્કાલિક દિલ્હી બોલાવી લેવાયા
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અલપન બંદોપાધ્યાયનું દિલ્હીમાં ટ્રાન્સફર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ સરકારને તેમને વહેલામાં વહેલી તકે છૂટા કરવાના આદેશ પણ આપ્યા છે. નોંધનીય છે કે બંદોપાધ્યાયનો ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ આ મહિનાના અંતમાં જ પૂર્ણ થઈ રહ્યો છે પરંતુ થોડા દિવસ પહેલા જ તેમને ત્રણ મહિના માટે એક્સટેન્શન આપી દેવામાં આવ્યું હતું.
મમતા બેનરજીના નજીકના અધિકારીના ટ્રાન્સફરથી TMC નારાજ
માનવામાં આવે છે કે અલપન બંદોપાધ્યાય મમતા બેનરજીના વિશ્વાસુ અધિકારી છે ત્યારે બંગાળથી રાજ્યસભાના સાંસદ સુખેન્દુ શેખર રાયે કહ્યું કે આઝાદી બાદ ક્યારેય આવું થયું છે? કોઈ રાજ્યના ચીફ સેક્રેટરીનું બળજબરી પૂર્વક કેન્દ્રમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. મોદી શાહની ભાજપ કેટલું નીચે જશે? બંગાળની જનતાએ આ બંનેનું અપમાન કર્યું છે અને ભારે જનાદેશ સાથે મમતા બેનરજીને ચૂંટયા છે તેથી તેઓ આ પ્રકારના કામ કરી રહ્યા છે.
Approved the placement of Alapan Bandyopadhyay (West Bengal Chief Secretary) with the Government of India. Accordingly, the State Govt is requested to relieve him with immediate effect and direct him to report to the Dept of Personnel & Training (DoPT), Delhi by 31st May: DoPT pic.twitter.com/HeyRiEJ7UW
મમતા બેનરજીથી કેન્દ્રીય મંત્રીઑ નારાજ
રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના નેતાઓએ મમતા બેનરજીની ટીકા કરીને કહ્યું કે આ બંધારણની મર્યાદાઓનું અપમાન છે અને આ પ્રકારના કૃત્યથી સંઘીય વ્યવસ્થાની મૂળ ભાવનાને ઠેસ પહોંચે છે.