અમદાવાદનાં અસારવા સ્થિત સિવિલ કેમ્પસમાં આવેલી કીડની હોસ્પિટલનું અંગદાનની ઉમદા કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ કક્ષામાં એવોર્ડ આપીને સન્માન કરાયું છે. હોસ્પિટલનાં નિષ્ણાત ડોક્ટરો અહીં આવતાં બ્રેઈનડેડ દર્દીઓનાં વાલીઓને સમજાવીને અંગદાન માટે પ્રોત્સાહિત કરે છે.
10માં નેશનલ ઓર્ગન ડોનેશન ડે પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આ ઝુંબેશનાં કારણે દેશભરમાં બ્રેઈનડેડ દર્દીઓનાં કેસમાં સમજાવટ બાદ અંગદાન થયું હોય તેવા સૌથી વધુ મામલા કીડની હોસ્પિટલનાં ડોક્ટરોએ સફળતાપૂર્વક પાર પાડ્યાં છે. આ ઉમદા કામગીરીની કેન્દ્રીય સ્તરે નોંધ લઈને ગત તા. 30મી નવેમ્બર 2019નાં રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનનાં હસ્તે કીડની અને આઈવીએફ વિભાગનાં અધ્યક્ષ ડો. વિનીત મિશ્રાને એવોર્ડ એનાયત કરાયાં હતાં.
10માં નેશનલ ઓર્ગન ડોનેશન ડે પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કામ કરતી સંસ્થા ‘નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન’(નોટો) દ્વારા આયોજિત 10માં નેશનલ ઓર્ગન ડોનેશન ડે પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની સરકારી અને બિનસરકારી હોસ્પિટલોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં રાજ્ય સ્તરે હોસ્પિટલ દ્વારા ચલાવાતી અંગદાન જાગૃતિ ઝુંબેશની વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને વિવિધ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માન કરાયું હતું.
હવે ઘણાં બધાં બ્રેઈનડેડ દર્દીઓનાં પરિવારજનો અંગદાન કરવા તૈયાર થઈ રહ્યાં છે
એવોર્ડ મળ્યાં બાદ કીડની હોસ્પિટલનાં અધ્યક્ષ ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, “કિડની હોસ્પિટલમાં લીવર અને કિડનીઓનાં દર્દીઓનું વેઈટીંગ લિસ્ટ લાંબુ હોય છે. જેની સામે કેડેવર ઓર્ગન ડોનેશનની સંખ્યા ઘણી મર્યાદિત રહે છે. માંગ અને પુરવઠા વચ્ચેનો આ મસમોટો ગાળો પુરવા માટે અમે છેલ્લાં ઘણાં વર્ષોથી અંગદાન જાગૃતિની ઝુંબેશ ચલાવીએ છીએ. જેનાં કારણે હવે ઘણાં બધાં બ્રેઈનડેડ દર્દીઓનાં પરિવારજનો અંગદાન કરવા તૈયાર થઈ રહ્યાં છે.
છેલ્લાં ત્રણ વર્ષથી સતત કીડની હોસ્પિટલમાં અંગદાનનો આંકડો વધતો જઈ રહ્યો છે
“અમે તેમને સમજાવીએ છીએ કે તેમનું સ્વજન હવે પરત ફરી શકે તેમ નથી, પણ તેમનાં અંગો દાન કરીને ઓછામાં ઓછાં પાંચ વ્યક્તિને જીવતદાન મળી શકે તેમ છે. જો તમે અંગદાન નહીં કરો તો તેમનાં અંગો સ્મશાનમાં બળી જશે અથવા જમીનમાં દટાઈને માટીમાં મળી જશે. એનાથી સારું છે કે તે કોઈ પીડિત વ્યક્તિનાં કામમાં આવે. આ કેમ્પેઈનનાં કારણે છેલ્લાં ત્રણ વર્ષથી સતત કીડની હોસ્પિટલમાં અંગદાનનો આંકડો વધતો જઈ રહ્યો છે. દર વર્ષે 100થી વધુ અંગદાન થાય છે જેનો અમે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવા ઉપયોગ કરીએ છીએ.”