કેન્દ્ર સરકારની સફળતાના 8 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આજે ગરીબ કલ્યાણ સંમેલન યોજાશે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે, હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે "ગરીબ કલ્યાણ સંમેલન" અંતર્ગત કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત આવતીકાલે તા.૩૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજ્યના ૩૨ જિલ્લાઓ તથા તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાશે.
13 યોજનાઓના લાભાર્થીઓ સાથે PM વાર્તાલાપ કરશે
સૌથી મોટા રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરશે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિનો ૧૧માં હપ્તો ખેડૂત લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરશે. રૂ.૨૧ હજાર કરોડ સમગ્ર દેશના અંદાજે ૧૦ કરોડ ખેડુતોના ખાતામાં જમા કરશે. જેમા ગુજરાતના ૫૮.૪૦ લાખ ખેડુતોના બેંક ખાતામાં રૂ.૧૧૬૮.૦૮ કરોડ જમા થશે.નોંધનિય છે કે ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં રૂ.૧૦,૩૩૪ કરોડ જમા કરવામા આવ્યા છે.
પ્રધાનમંત્રી મહેસાણા લાભાર્થી સાથે સંવાદ કરશે
વધુમાં દેશની સ્વતંત્રતા તથા શહીદ વીરોની યાદમાં સમગ્ર રાષ્ટ્ર "આઝાદીના અમૃત મહોત્સવની" ઉજવણી કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ અને શહેરી), જલજીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત પી.એમ જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેશ સેન્ટર અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના મળીને આ તમામ ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન વાર્તાલાપ કરશે.
32 જિલ્લા કૃષિ કેન્દ્ર પર કાર્યક્રમ યોજાશે
રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં અંદાજે ૮હજારથી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. સાથો સાથ સવારે ૯.૪૫ વાગ્યે ૩૨ જિલ્લાથી તથા તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી યોજાનાર આ કાર્યક્રમમાં ૫ કેન્દ્રિય મંત્રી રાજ્ય સરકારના તમામ મંત્રી તમામ સંસદ સભ્ય સહિતના જોડાશે. જેમા કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા અમરેલી ખાતે, ડો.મનસુખ માંડવિયા ભાવનગર ખાતે, દર્શનાબેન જરદોશ સુરત ખાતે, ડૉ. મહેન્દ્ર મુંજપરા ભાવનગર ખાતે અને ડૉ. એસ.જયશંકર વડોદરા ખાતે ઉપસ્થિત રહેશે અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.