આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઇ રહી છે. જ્યારે રાજ્યમાં યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મોટાભાગના તમામ શહેરોના મંદિરોમાં જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો છે. મોટી સંખ્યામાં વ્હાલાના વધામણા કરવા માટે ભક્તો મંદિરોમાં પહોંચ્યા છે.
દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ
દ્વારકામાં આજે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં વ્હાલાના વધામણા કરવા માટે ભક્તો મંદિરમાં પહોંચ્યા છે. ભગવાન કૃષ્ણની 'કર્મભૂમિ' દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તોનું મંદિરમાં આગમન થયું છે.
ડાકોર
જન્માષ્ટમીના તહેવારને ડાકોરમાં ખુબ ધામ ધૂમથી ઉજવાઇ રહ્યો છે. આજે યાત્રાધામ ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં જન્મોત્સવ ને ઉજવવા માટે પહેંચ્યા છે. વહેલી સવારથી મંદિર જય રણછોડ, માખણ ચોરના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે. તો ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
શામળાજી
પૌરાણિક મહત્વ ધરાવતા તીર્થધામ શામળાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારે નાથની મંગલા આરતી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરોમાં વહેલી સવારથી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી-ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી..ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યું છે.
અમદાવાદ
અમદાવાદમાં જન્માષ્ટમીની ધામધામથી ઉજવણી કરવામાં આવી છે. જન્માષ્ટમી નિમિતે જીવરાજ પાર્કની જ્ઞનદા સોસાયટી અનોખી ઉજવણી કરાઈ છે. તો અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણને આકર્ષક વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા છે.
સુરત
સુરતના કુડસદ ગામના મીની ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. મીની ડાકોરમાં આવેલા રણછોડજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મદિનને લઈને ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મંદિર જય રણછોડ, માખણ ચોરના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે. તો સુરતના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણને આકર્ષક વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા અને છપ્પનભોગનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો છે.
ભાલકા તીર્થ
સોમનાથ પાસે ભાલકા તીર્થમાં પણ ભાવિકભક્તો ઉમટી પડ્યા છે. ભાલકા એટલે ભાલો અને જે જગ્યાએ શ્રીકૃષ્મને ભાલો વાગ્યો હતો તે જગ્યાને ભાલકા તીર્થ કહેવાય છે. ત્યારે આજે જન્માષ્ટમી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાનના વાઘા બદલી અને દિવસ દરમિયાન મહાઆરતી કરવામાં આવે છે અને મટકીફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.
રાજકોટ
રાજકોટ શહેરમાં ઠેર-ઠેર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સોસાયટીઓમાં લોકો દ્વારા અલગ-અલગ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જન્માષ્ટમી મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં થયેલા અગ્નિકાંડની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અગ્નિકાંડના તમામ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી. તો રાજકોટમાં ઠેર ઠેર ભગવાન કૃષ્ણને હિંડોળાએ રખાયા હતા. મવડીમાં ભગવાન કૃષ્મના અદભુત ફ્લોટ્સ તૈયાર કરાયા હતા. જય રણછોડ માખણ ચોર..ના નાદથી રાજકોટ ગૂંજી ઉઠ્યું છે.
અમરેલી
અમરેલીના ધારીમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. આહીર યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શોભા યાત્રા ધારીની બજારોમાં ફેર હતી. આ જન્માષ્ટમીની શોભાયાત્રામાં મટકી ફોડ સહિતના કાર્યકમો યોજવામાં આવ્યાં હતા. જન્માષ્ટમીની શોભાયાત્રામાં અનેક લોકો જોડાયા હતા.
વડોદરા
જન્માષ્ટમીના પર્વ નિમિતે વહેલી સવારથી વડોદરાના ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા છે. ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી.. હાથી-ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી..'ના જયઘોષ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું છે.