મુંબઇ: આજે સમગ્ર દેશમાં 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે. ત્યારે મોડી રાતે પણ દેશના અનેક વિસ્તારોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી. મુંબઈ સહિત કલકત્તામાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને પર્વની ઉજવણી થઈ.
ઉલ્લેખનીય છે કે ઘાટકોપરમાં ધારાસભ્ય રામ કદમે અને બંગાળમાં મંત્રી અરૂપ વિશ્વાસે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પર્વની ઉજવણી કરી હતી. પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા પણ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. તો મોડી રાતે થયેલી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે મોડી રાતે દેશના અનેક વિસ્તારોમાં આતશબાજી પણ કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મૂક્તિ મળી હતી. આ સમાચાર પ્રાપ્ત થતા જ દિલ્હી સહિત દેશભરમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
તો આ તરફ દિલ્હીના લાલ કિલ્લા પર ભારતની આન-બાન અને શાન સમો તિરંગો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો અને આતશબાજી પણ કરવામાં આવી હતી. આ ઘટનાને ફરીવાર ગતમોડી રાતે દેશના અનેક સ્થળો પર તાજી કરવામાં આવી હતી. જેમાં મુંબઇ સહિત કલકત્તામાં મોડીરાતે નગરજનોએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપી હતી.