નડીયાદઃ દેવ દિવાળીને ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદના સંતરામ મંદિરે લાખો દીવડાઓથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. સંતરામ મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી. તો યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યુ હતું. 1008 દિવાઓની દિપમાળા પ્રગટાવવામાં આવી હતી. ભગવાનને સવા લાખનો મુગટ ધરવામાં આવ્યો હતો. તો આ તરફ યાત્રાધામ શામળાજી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નિજ મંદિરના દ્વાર આગળ 101 દીવાની દીપમાળા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તો ઉમટયા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સંતરામ મંદિરઃ 1 લાખ 21 હજાર દીવડા પ્રગટાવી કરાઈ ઉજવણી
નડિયાદમાં દેવ દિવાળીને લઈને ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ સંતરામ મંદિરને 1 લાખ 21 હજાર દીવડા પ્રગટાવતા મંદિર દીપોત્સવથી ઝળહળી ઉઠ્યું હતું. ભક્તો દ્વારા હજારો દિવડા વડે સંતરામ મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ હજારો ભક્તોએ દર્શન કર્યા હતા.
શામળાજીઃ નીજ મંદિર દ્વાર આગળ 101 દીવાની દીપમાળા કરાઈ
કારતક સુદ પૂર્ણિમા એટલે દેવ દીવાળીનો તહેવાર નિમિતે યાત્રાધામ શામળાજી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યા સમયે ભગવાન શામળાજી સન્મુખ મેરાયું કરાયું હતું. નિજ મંદિર દ્વાર આગળ 101 દીવાની દીપમાળા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તો ઉમટયા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું ડાકોર
યાત્રાધામ ડાકોર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રણછોડજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યુ હતું. 1008 દીવાથી બે દિપમાળા દિપી ઉઠી હતી. ભગવાનને સવા લાખનો મુગટ ધરવામાં આવ્યો હતો. લાખો ભક્તોએ દેવદિવાળીના દર્શનનો લાભ લીધો હતો. ભક્ત બોડાણાને પણ વિશિષ્ટ ભોગ અને આરતી કરવામાં આવી હતી.