ભારતના સીડીએસ જનરલ બિપિન રાવતે હવે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ચીન સાથેની વાતચીત નિષ્ફળ જશે તો હવે આપણી પાસે લશ્કરી વિકલ્પ જ મોજૂદ છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે ભારત અને ચીન વચ્ચે યુદ્ધનો નિર્દેશ આપતું એક મોટું નિવેદન કર્યું છે. ભારત ચીન સાથે સરહદી વિવાદના મામલે પોતાના સંબંધો સુધારવા સતત પ્રયત્નશીલ છે, પરંતુ દેશના સાર્વભૌમત્વ સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. ભારતના સીડીએસ જનરલ બિપિન રાવતે હવે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ચીન સાથેની વાતચીત નિષ્ફળ જશે તો હવે આપણી પાસે લશ્કરી વિકલ્પ જ મોજૂદ છે.
જો ચીન ભારતીય પ્રદેશમાંથી પીછેહઠ નહીં કરે તો ભારત પાસે સૈન્ય વિકલ્પ જ છે
અહેવાલો અનુસાર સીડીએસ જનરલ બિપિન રાવતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વાતચીત દ્વારા જો ચીન ભારતીય પ્રદેશમાંથી પીછેહઠ નહીં કરે તો ભારત પાસે સૈન્ય વિકલ્પ જ છે. જરૂર પડે આપણે આ વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. સીડીએસ બિપિન રાવતે એવા સમયે નિવેદન આપ્યું છે, જ્યારે ચીન સરહદી વિવાદ વચ્ચે વાટાઘાટને સતત નિષ્ફળ બનાવી રહ્યું છે અને પીછેહઠ કરવા તૈયાર નથી.
જનરલ રાવતે જણાવ્યું હતું કે LACમાં થયેલા બદલાવ અલગ અલગ ધારણાના કારણે હોય છે. સંરક્ષણ સેવા પર નજર રાખવા, મોનિટરિંગ કરવા અને ઘૂસણખોરી રોકવા માટે આવાં અભિયાનને રોકવાની કામગીરી સોંપવામાં આવે છે. કોઇ પણ આવી પ્રવૃત્તિનું શાંતિપૂર્વક નિરાકરણ લાવવા અને ઘૂસણખોરી રોકવા માટે સરકાર એક સંપૂર્ણ દૃષ્ટિકોણથી વિચારતી હોય છે.
રાજનાથસિંહ, અજિત ડોભાલ અને સુરક્ષા માટે જવાબદાર તમામ લોકો તમામ વિકલ્પની સમીક્ષા કરી રહ્યા છે
તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જવાબદાર તમામ લોકો તમામ વિકલ્પની સમીક્ષા કરી રહ્યા છે કે ચીની સૈન્ય પીએલએ લદ્દાખમાં યથાસ્થિતિ પુનઃ સ્થાપિત કરે.
દરમિયાન ચીન સરહદી વિવાદ અને તણાવ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ જનરલ બિપિન રાવત સાથે રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં ભારત અને ચીન વચ્ચે સરહદે પ્રવર્તતી મડાગાંઠને ઉકેલવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સૈન્યની ત્રણેય પાંખના વડા હાજર
આ બેઠકમાં અજિત ડોભાલ અને બિપિન રાવત ઉપરાંત આર્મીના વડા જનરલ એમ.એમ. નરવણે, નૌકાદળના વડા એડમિરલ કરમવીરસિંહ અને વાયુદળના વડા આર.કે.એસ. ભદોરિયા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં ચીન સાથેના સરહદી વિવાદના તમામ મહત્ત્વપૂર્ણ પાસાં પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત હાલ કોઇ પણ સંજોગોમાં સૈન્યની સંખ્યા ઘટાડવાના મૂડમાં નથી. આ ઉપરાંત આ બેઠક પૂર્વે ર૦-ર૧ ઓગસ્ટના રોજ ભારત અને ચીનના સૈન્ય કમાન્ડર વચ્ચે બે દિવસ સુધી બેઠક યોજાઇ હતી અને તેમાં પણ વિવિધ પાસાં પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જોકે પૂર્વ લદ્દાખમાં સરહદી વિવાદના ઉકેલ માટે કોઇ મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઇ શકી નહોતી.