એક્સાઇઝ કૌભાંડ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી રહી છે. તપાસ એજન્સીને એક્સાઈઝ ડ્યૂટી સાથે જોડાયેલા કેટલાક ગોપનીય દસ્તાવેજ મળ્યા.
એક્સાઇઝ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી
સીબીઆઈ ઘણા કલાકો સુધી તેમના ઘરની તપાસ કરી
એક્સાઈઝ ડ્યૂટી સાથે જોડાયેલા કેટલાક ગોપનીય દસ્તાવેજ મળ્યા
એક્સાઇઝ કૌભાંડ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી રહી છે. સીબીઆઈ ઘણા કલાકો સુધી તેમના ઘરની તપાસ કરી રહી છે. એક સરકારી અધિકારીના આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યાંથી તપાસ એજન્સીને એક્સાઈઝ ડ્યૂટી સાથે જોડાયેલા કેટલાક ગોપનીય દસ્તાવેજ મળ્યા છે. સીબીઆઈના જણાવ્યા મુજબ આ દસ્તાવેજો કોઈ સરકારી અધિકારીના ઘરે ન હોવા જોઈએ.
દારૂના કૌભાંડના દસ્તાવેજો મળ્યા
મનીષ સિસોદિયા અને કેટલાક અન્ય અધિકારીઓના ઘરે સવારથી જ સીબીઆઈની રેડ ચાલી રહી છે. અનેક કલાકોની આ રેડમાં કેટલાક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. આવા જ કેટલાક દસ્તાવેજો એક સરકારી અધિકારીના નિવાસસ્થાનેથી પણ મળી આવ્યા છે. આ દસ્તાવેજો કયા અધિકારી પાસેથી મળ્યા છે તે હજુ સુધી સીબીઆઈ જણાવી રહી નથી, પરંતુ સમગ્ર તપાસમાં તેને મોટો ઘટસ્ફોટ માનવામાં આવી રહ્યો છે.
સિસોદિયાનું નામ મુખ્ય આરોપી તરીકે
દસ્તાવેજો ઉપરાંત સીબીઆઇ સિસોદિયાના વાહનની પણ તલાશી લઇ રહી છે. તપાસ એજન્સીને આશા છે કે ડેપ્યુટી સીએમના વાહનમાંથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી શકે છે. આ સમગ્ર કેસમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મનીષ સિસોદિયાને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. કુલ 15 નામ સામે આવ્યા છે, જેમાં સૌથી ઉપર સિસોદિયાનું નામ છે. અત્રે એ જાણવું જરૂરી છે કે મનીષ સિસોદિયા સામે સીબીઆઈ તપાસની ભલામણ મુખ્ય સચિવના રિપોર્ટના આધારે એલજી વીકે સક્સેનાએ કરી હતી. મનીષ સિસોદિયા પર નવી એક્સાઇઝ ડ્યુટીમાં ગડબડ કરવાનો આરોપ છે.
Delhi Deputy CM Manish Sisodia among 15 persons booked by name in the FIR filed by CBI. Excise officials, liquor company executives, dealers along with unknown public servants & private persons have too been booked in the case. pic.twitter.com/arq86vgUIT
શું છે સમગ્ર મામલો?
મુખ્ય સચિવે બે મહિના પહેલા પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં જીએનસીટીડી એક્ટ 1991, ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ્સ 1993, દિલ્હી એક્સાઇઝ એક્ટ 2009 અને દિલ્હી એક્સાઇઝ રૂલ્સ 2010ના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. સિસોદિયા પર કોરોનાના બહાને લાયસન્સ આપવામાં નિયમોની અવગણના કરવાનો પણ આરોપ લાગ્યો છે. ટેન્ડર બાદ દારૂના કોન્ટ્રાક્ટરોના 144 કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. હાલ તો મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી આ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે. એક તરફ સિસોદિયા પોતાને કટ્ટર પ્રમાણિક ગણાવી રહ્યા છે, તો કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા દાવો કરી રહ્યા છે કે કેન્દ્ર પોતાની સરકારની લોકપ્રિયતાથી ડરે છે.