300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવાના મામલે સીબીઆઈએ મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની દિલ્હી સ્થિત સીબીઆઈ મુખ્યાલયમાં પૂછપરછ કરી.
સત્યપાલ મલિકની સીબીઆઈએ પૂછપરછ કરી હતી
મેઘાલયના પૂર્વ રાજ્યપાલ પર 300 કરોડની લાંચનો આરોપ
અનેક રાજ્યોના રાજ્યપાલ રહી ચૂકેલા છે સત્યપાલ મલિક
સીબીઆઈએ મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની દિલ્હી સ્થિત સીબીઆઈ મુખ્યાલયમાં પૂછપરછ કરી. મલિક જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે બે ફાઇલો ક્લિયર કરવા માટે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હોવાના તેમના આક્ષેપો અંગે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
સીબીઆઈએ આ આરોપોની તપાસ શરૂ કરી
મેઘાલય સહિત અનેક રાજ્યોના રાજ્યપાલ રહી ચૂકેલા મલિક ઘણા સમયથી ચર્ચામાં છે. ખેડૂત આંદોલન દરમિયાન કરવામાં આવેલા અનેક નિવેદનોએ કેન્દ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ પછી, સીબીઆઈએ આ આરોપોની તપાસ શરૂ કરી હતી.
બે ફાઈલ મંજુર કરવાના 300 કરોડ ઓફર
સૂત્રોના હવાલાથી કહ્યું કે, સીબીઆઈએ મલિકને દિલ્હી સ્થિત સીબીઆઈ ઓફિસમાં બોલાવીને સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. ગયા વર્ષે 17 ઓક્ટોબરના રોજ રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં મલિકે કહ્યું હતું કે, "બે ફાઇલો મારા ધ્યાનમાં લેવા આવી હતી. એક સચિવે મને કહ્યું કે જો હું આને મંજૂરી આપું તો મને દરેક માટે 150 કરોડ રૂપિયા મળી શકે છે. મેં એમ કહીને ઓફર નકારી કાઢી કે હું કાશ્મીરમાં પાંચ કુર્તા પાયજામો(કપડાં) લાવ્યો છું અને હમણાં જ તેમની સાથે પાછો જઈશ. ત્યાર બાદ તેણે કહ્યું, "મેં બંને સોદા રદ કર્યા હતા. હું તપાસ માટે તૈયાર છું.. હું સ્વચ્છ છું
પીએમને આપી હતી જાણકારી
તેઓએ આગળ જણાવ્યું "મારા એક સેક્રેટરીએ મને કહ્યું હતું કે મને બંને સોદામાં 150 કરોડ રૂપિયા મળી શકે છે, પરંતુ મેં વડા પ્રધાન પાસે સમય માંગ્યો અને તેમને આ કૌભાંડથી વાકેફ કર્યા. મેં તેમને કહ્યું કે તેઓ તમારા નજીકના વિશ્વાસુ હોવાનો દાવો કરે છે. મારે વડા પ્રધાનની પ્રશંસા કરવી જોઈએ કારણ કે તેમણે મને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર સમાધાન ન કરો. કાશ્મીરમાં ભ્રષ્ટાચાર મોટા પાયે ફેલાયેલો હતો, જ્યાં દેશના અન્ય ભાગોમાં કમિશનની સંખ્યા 5 ટકાની તુલનામાં 15 ટકા હતી. પરંતુ હું ખુશ છું કે મારા કાર્યકાળ દરમિયાન કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો ન હતો.
મલિકનો કાર્યકાળ 3 ઓક્ટોબરના રોજ સમાપ્ત થયો હતો
સત્યપાલ મલિક આ મહિને નિવૃત્ત થયા હતા. તેમનો કાર્યકાળ ૩ ઓક્ટોબરે સમાપ્ત થયો હતો અને તેમને કોઈ વધારાનું પદ આપવામાં આવ્યું ન હતું. તેમની જગ્યાએ બીડી મિશ્રાએ મેઘાલયના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. રિટાયરમેન્ટ બાદ મલિકે કહ્યું હતું કે હું પહેલેથી જ રાજીનામા સાથે ફરી રહ્યો છું, પરંતુ હવે હું મુક્ત છું. ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું, "હું હવે મુક્ત છું. હું કંઈ પણ કરી શકું છું અને જેલમાં જઈ શકું છું. બુલંદશહરના સેગલી ગામમાં આયોજિત કિસાન મહાસંમેલનમાં પહોંચેલા મલિકે મોદી સરકાર પર સીધો પ્રહાર કરતા કહ્યું કે તેઓ મારા પર હુમલો કરશે અને મને સજા આપવાની કોશિશ કરશે, પરંતુ મારું કંઈ ખોટું નહીં કરી શકે.