દેશના સંઘીય માળખાને છિન્નભિન્ન કરી નાખે તેવી સ્થિતિનું હવે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નિર્માણ થઇ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર અને બિન ભાજપ શાસિત રાજ્યોની સરકારો વચ્ચે હવે એક નવા પ્રકારનું ઘર્ષણ શરૂ થઇ ગયું છે. આ ઘર્ષણ સીબીઆઇના કહેવાતા દુરુપયોગને લઇને છે.
CBIને દેશના આ 8 રાજ્યોમાં એન્ટ્રીઃ સંઘીય માળખું છિન્નભિન્ન થશે?
બિન ભાજપ રાજ્ય સરકારોએ સીબીઆઇની પોતાના રાજ્યોમાં એન્ટ્રી માટે પાબંધી
સીબીઆઇ આઠ રાજ્યોમાં નવા કેસની તપાસ કરી શકશે નહીં
બિન ભાજપ પક્ષો એવો આક્ષેપ કરી રહ્યા છે કે મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને હેરાન કરે છે. સીબીઆઇ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી), ઇન્કમટેકસ, આઇટી, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) જેવી કેન્દ્રીય એજન્સીઓને મોદી સરકારે વિપક્ષો પર ત્રાટકવા માટે છૂટો દોર આપી દીધો છે. એવા સતત આક્ષેપો થઇ રહ્યા છે.
બિન ભાજપ રાજ્ય સરકારોએ સીબીઆઇની પોતાના રાજ્યોમાં એન્ટ્રી માટે પાબંધી
એ સીબીઆઇની પોતાના રાજ્યોમાં એન્ટ્રી માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. તાજેતરમાં ઝારખંડની હેમંત સોરેન સરકારે સીબીઆઇને ઝારખંડમાં તપાસ કરવા આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે. આવો નિર્ણય કરનાર ઝારખંડ આઠમું રાજ્ય છે. આ અગાઉ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કેરળ, મિઝોરમ, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોએ સીબીઆઇની તેમના રાજ્યોમાં એન્ટ્રી માટે મનાઇ ફરમાવી દીધી હતી.
સીબીઆઇ આઠ રાજ્યોમાં નવા કેસની તપાસ કરી શકશે નહીં
બિન ભાજપ રાજ્યોના આ પ્રકારના નિર્ણયની કેવી અસર પડી શકે છે તે અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ નિર્ણયથી સંઘીય એજન્સી એટલે કે સીબીઆઇ આઠ રાજ્યોમાં નવા કેસની તપાસ કરી શકશે નહીં. મહારાષ્ટ્ર સરકારે ર૧ ઓકટોબરે જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લીધા બાદ સીબીઆઇ પોતાની મુંબઇ શાખામાં એક પણ કેસ દાખલ કરી શકી નથી. સામાન્ય સંજોગોમાં દર મહિને સીબીઆઇની મુંબઇ શાખામાં ભ્રષ્ટાચાર કે બેન્ક ઉચાપત સંબંધિત ત્રણથી ચાર કેસ દાખલ થતા હતા, પરંતુ મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ એક પણ કેસ દાખલ થયો નથી.
સીબીઆઈની સ્થાપના દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એકટ-૧૯૪૬ હેઠળ કરાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈની સ્થાપના દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એકટ-૧૯૪૬ હેઠળ કરવામાં આવે છે. કેન્દ્રીય એજન્સીને આવશ્યક પરિસ્થિતિમાં જરૂરી કેસોની તપાસની જવાબદારી રાજ્ય સરકારની ખાસ સંમતિથી સોંપવામાં આવે છે અને હવે કલમ-૬ હેઠળ આપવામાં આવતી જનરલ કન્સેન્ટ બિન ભાજપ સરકારોએ પાછી ખેંચી લીધી છે.
સીબીઆઈની શાખ એક જમાનામાં તટસ્થ તપાસ કરનારી એજન્સી તરીકેની હતી. તેના કારણે આપણે ત્યાં રાજ્યો સીબીઆઈને રોકતાં નહીં ને તેને પોતાની રીતે કામ કરવા દેતાં હતાં. દરેક રાજ્ય દર વર્ષે એક સામાન્ય પરિપત્ર બહાર પાડીને સીબીઆઈને છૂટ આપી દેતાં. કેન્દ્રમાં જેની સત્તા હોય તે પક્ષની સરકાર રાજ્યમાં ના હોય તો પણ સીબીઆઈ સામે વિપક્ષી સરકારો વાંધો નહોતી લેતી. છેલ્લાં બે વર્ષથી સ્થિતિ બદલાઈ છે અને એક પછી એક રાજ્યો સીબીઆઈ સામે જાહેરમાં અણગમો વ્યક્ત કરીને દૂર કરવા માંડ્યાં છે. ૨૦૧૮માં ચંદ્રાબાબુ નાયડુએ તેની શરૂઆત કરેલી.
આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારો વહેંચાયેલા છે. આ અધિકારોના પાલન માટે તંત્ર ગોઠવાયેલાં છે. સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓ તેનો જ એક ભાગ છે. રાજ્યની પોલીસ શું કરે અને કેન્દ્રીય એજન્સીઓ શું કરે તેની લક્ષ્મણરેખા નક્કી થયેલી જ છે. હવે દેશનાં સાત રાજ્યમાં કેન્દ્ર સરકારની એજન્સીઓને પ્રવેશ જ ના હોય તો પછી આ સિસ્ટમનો અર્થ જ નથી રહેતો ને આ સિસ્ટમ જ તૂટી પડે. કેન્દ્ર સરકારની એજન્સીઓએ રાજ્ય સરકારની દયા પર રહેવાનું હોય ને રાજ્યમાં ઘૂસવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી લેવાની હોય તો પછી આખું માળખું જ કડડભૂસ થઈ જાય. ટૂંકમાં આ નિર્ણય આપણી અત્યારની સિસ્ટમ સામે મોટો ખતરો છે. આ પ્રકારનું વલણ ભારત જેવા દેશના સંઘીય માળખાને છિન્નભિન્ન કરી શકે છે.