CBIએ દેશભરમાં ચર્ચાઈ રહેલા હાથરસ કેસની તપાસ શરૂ કરી દીધી છે. યોગી સરકાર દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવાની ભલામણ કેન્દ્રને મોકલવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે 14 સપ્ટેમ્બરના રોજ ચાર યુવકોએ 19 વર્ષીય દલિત યુવતી પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત નીપજ્યું હતું.
પીડિતાની ડેડબોડીના અંતિમ સંસ્કાર તેના ઘર નજીક 30 સપ્ટેમ્બરે કરવામાં આવ્યા હતા. તેના પરિવારજનોનો આરોપ છે કે સ્થાનિક પોલીસે ઉતાવળમાં અંતિમ વિધિ કરાવી દીધી હતી. જો કે સ્થાનિક પોલીસનો દાવો છે કે અંતિમ સંસ્કાર પરિવારની ઇચ્છા મુજબ કરવામાં આવ્યા હતા.
SP સહિતના અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
આ ઘટનાને લઇને ભારે વિવાદ થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CBI તપાસની જાહેરાત કરી. હાથરસ કેસમાં SIT દ્વારા તપાસના આધારે SP સહિતના અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
UP સરકારે સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી કે તેઓ આ તપાસ CBIને સોંપે
આ મામલે તાજેતરમાં યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં એવું લખ્યું છે કે સરકાર ઇચ્છે છે કે આવા દુ:ખદ દુર્ઘટનામાં મૃત છોકરીને ન્યાય મળે. આ બાબતે સચ્ચાઈ સામે આવે તે માટે પ્રથમ SITની રચના કરી હતી. હવે પોલીસને તપાસથી દૂર રાખવા માટે આ કેસ CBIને સોંપવાની ભલામણ કરવામાં આવી છે.
UP સરકારે સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી કે તેઓ આ તપાસ CBIને સોંપે અને પોતે તપાસ ઉપર નજર રાખે.