કોરોના વાયરસથી વિશ્વમાં 1.7 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે અને આ વાયરસના કારણે હાલ દેશની અર્થવ્યવસ્થા પણ અટકી પડી છે. આવામાં કેન્દ્ર સરકારે વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટમાં જે ટેક્સ વસૂલીનો ટાર્ગેટ રાખ્યો હતો તે લક્ષ્યાંક હાંસલ કરવા ઇન્કમટેક્સ વિભાગને રૂ.1,31,900 કરોડનો જંગી ટાર્ગેટ ઝોન મુજબ અપાયો છે, કારણ કે અર્થતંત્ર હાલ ઠપ્પ હાલતમાં છે.
મહત્વનું છે કે હાલના કોરોના સંકટમાં દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે અને આર્થિક વૃદ્ધિદર લગભગ ન હોવાને બરાબર થઈ ગયો છે. આવામાં સરકાર માટે અર્થતંત્રને ઊભું કરવું એ પડકાર સમાન બન્યું છે. જેથી સરકારની તિજોરીમાં નાણાં આવવા જરૂરી છે અને એટલે જ સરકારે આવા આર્થિક સંકટની વચ્ચે પણ 2020-21ના સામાન્ય બજેટમાં જે ટેક્સ વસુલાતનો લક્ષ્યાંક રખાયો હતો તે મુજબ જ સરકારે ટૅક્સ કલેક્શન કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલલેખનીય છે કે ગત સપ્તાહે પત્ર દ્વારા જાણ કરીને આવકવેરાના તમામ મુખ્ય કમિશનરો (PCCIT) ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા કોર્પોરેટ ટેક્સ, વ્યક્તિગત આવકવેરા અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) - જે શેર ટ્રાન્ઝેક્શન પર લેવાય છે તેની ટૅક્સ વસૂલાત માટે ટાર્ગેટ અપાયા છે. આ ટૅક્સ કલેક્શનના ટાર્ગેટ ઝોન મુજબ અપાયા છે. જેમાં ગુજરાત ઝોન માટે ટેક્સ વસૂલવાનો ટાર્ગેટ રૂપિયા 65,237 કરોડ સેટ કરાયો છે.
મહત્વનું છે કે, રૂ. 1,31,9000 કરોડના કુલ ટાર્ગેટમાંથી કોર્પોરેશન ટેક્સનો રૂ. 6,81,000 કરોડ, વ્યક્તિગત આવકવેરો રૂ. 6,25,000 કરોડ અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ રૂ. 13,000 કરોડ છે.
CBDT દ્વારા જણાવાયું છે કે "દરેક કેડરને નિયંત્રિત કરતી પીસીસીઆઈટીનો બજેટ ટાર્ગેટ દરેક ક્ષેત્રની આવક સંભાવનાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે, જે છેલ્લા ત્રણ વર્ષના વસૂલાતના સરેરાશ વૃદ્ધિ દર પર આધારિત છે."
ઝોન પ્રમાણે જુઓ કોને કેટલો ટાર્ગેટ અપાયો?
જો કે ટૅક્સ નિષ્ણાતો અનુસાર રેવન્યુ વિભાગ અને CBDT દ્વારા અપાયેલા ટાર્ગેટ્સને પહોંચી વળવું હાલના સંજોગોમાં કપરું છે. જે રીતે હાલની ઈકોનોમી છે તેમ જ કોર્પોરેટ સેક્ટરમાં કર્મચારીઓની મોટા પ્રમાણમાં છટણી થઈ રહી છે તેવા સંજોગોમાં આ ટાર્ગેટ પૂરો કરવો અઘરો દેખાઈ રહ્યો છે.