સીબીડીટીએ કહ્યું છે કે 25 લાખ રૂપિયા સુધી ટીડીએલ એટલે સ્ત્રોત પર ટેક્સના કાપને સરકારી ખજાનામાં જમા કરાવવામાં જો 60 દિવસ મોડું થશે તો સત્તાવાર ધારામાં કાર્યવાહી કરવામાં આવશે નહીં. ટેક્સથી જોડાયેલા કેસની સંખ્યા ઘટાડવાના હેતુથી તાજેતરમાં આવા નિર્ણય કરવામા આવ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ (સીબીડીટી)એ કરદાતાઓને મોટી રાહત આપતાં ઇન્કમટેક્સ રિટર્ન (આઇટીઆર) નહીં ભરવાના કૃત્યને હવે અપરાધની કેટેગરીમાંથી બહાર મૂક્યું છે. આમ હવે ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરવાથી ગુનો બનશે નહીં. તે જ રીતે સીબીડીટીએ જણાવ્યું છે કે જો કોઇ કંપની રૂ. ૨૫ લાખ સુધીનો ટીડીએસ જમા નહીં કરાવે તો પણ તેને અપરાધ માનવામાં આવશે નહીં એટલું જ નહીં હવે ઇન્કમટેક્સ ચોરીના પ્રયાસોને પણ અપરાધની કેટેગરીની બહાર મૂકી દેવામાં આવ્યા છે.
સીબીડીટીએ એક નવા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે ટેક્સ ચૂકવવામાંથી જાણી જોઇને ટાળવાનું, ટેક્સ રિટર્ન નહીં ભરવાનું અને સરકારી તિજોરીમાં રૂ. ૨૫ લાખ સુધીનો ટીડીએસ જમા નહીં કરાવવાના મામલે હવે જવાબદાર સામે ક્રિમિનલ એક્શન લેવામાં આવશે નહીં.
આનો અર્થ એ થયો કે હવે આવા કિસ્સાઓ કોર્ટમાં ઘસડી જવાશે નહીં. સીબીડીટીના આ નિર્ણયથી મોટી સંખ્યામાં કરદાતાઓ કાનૂની ખટલામાંથી બચી શકશે. સર્ક્યુલરમાં જોકે વધુમાં જણાવાયું છે કે વારંવાર કસૂર કરવાના અપવાદરૂપ કિસ્સામાં બે મુખ્ય કમિશનરોની કોલેજિયમ અથવા ઇન્કમટેક્સના ડાયરેક્ટર ઓફ જનરલની મંજૂરીથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.